14 February, 2026 12:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં લોકોનો પ્રવાસ સુલભ અને સુવિધાજનક બની રહે એ માટે એક મોટું પગલું લેવાનું સરકાર વિચારી રહી છે. ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ MMRમાં લોકોને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી મળી રહે એ માટે પૉડ ટૅક્સી શરૂ કરવા એનો ડીટેલ પ્લાન બનાવવાનો આદેશ આપ્યો છે.
એકનાથ શિંદેએ આ બાબતની રિવ્યુ બેઠકમાં કહ્યું હતું કે ‘લોકો મોટા ભાગે ટ્રેન કે મેટ્રો પકડીને તેમની ઑફિસે કે ધંધા પર જતા હોય છે. એમાંથી ઊતર્યા પછી તેમણે તેમની નોકરીના સ્થળે પહોંચવા રિક્ષા અથવા બસ પકડવી પડતી હોય છે. જોકે એમાં ટ્રાફિક જૅમ અને ભીડને જોતાં પૉડ ટૅક્સી એક સારો વિકલ્પ બની શકે એમ છે. એને લીધે વધુ લોકો મેટ્રોમાં વધારે પ્રવાસ કરશે એટલું જ નહીં, રસ્તા પર પણ ટ્રાફિક ઓછો થશે.’
એકનાથ શિંદેએ આ માટે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ની પણ મદદ લેવા કહ્યું છે. તેમણે ભાર દઈને કહ્યું છે કે વિકાસનાં કાર્યો કરતી વખતે લાસ્ટ માઇલ કનેક્ટિવિટીને સૌથી વધુ પ્રેફરન્સ આપવો જોઈએ.