22 May, 2026 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગરીબનગરની ગઈ કાલની અવસ્થા.
બાંદરા-ઈસ્ટમાં રેલવે અને કલેક્ટરની જમીન પર ગેરકાયદે ઊભા થયેલા ગરીબનગરના ડિમોલિશનની મંગળવારથી શરૂ કરવામાં આવેલી કાર્યવાહી ગઈ કાલે ૯૦ ટકા જેટલી પતી ગઈ હતી. પહેલા અને બીજા દિવસે ત્યાંના રહેવાસીઓએ કરેલો પથ્થરમારો અને પોલીસે કરેલા લાઠીચાર્જની ઘટના બાદ ગઈ કાલે પ્રમાણમાં શાંતિ હતી.
હવે JCB જેવી મશીનરી ડેબ્રી ખસેડવાના અને ઉપાડીને ટ્રકમાં નાખવાના કામમાં લેવાઈ રહી છે. બાકીનું બાંધકામ હવે મજૂરો દ્વારા મૅન્યુઅલી તોડવામાં આવશે.
સ્પૉટ પરથી રોજની ૮૦ ટન ડેબ્રી ખેસડાઈ રહી છે. ગઈ કાલે ૪૦૦ પોલીસ-કર્મચારીઓ સિક્યૉરિટી માટે તહેનાત કરવામાં આવ્યા હતા. રાતના સમયે પણ પોલીસપહેરો રખાયો છે. નિર્મલનગર પોલીસે તોફાનીઓએ કરેલા પથ્થરમાર સંદર્ભે FIR નોંધીને ૧૬ જણની ધરપકડ કરી છે જેમાં એક માઇનર છે.
પોલીસ CCTV કૅમેરાનાં ફુટેજ અને સોશ્યલ મીડિયા પર ફરી રહેલા વિડિયોના આધારે પથ્થરમારો કરનાર અને પોલીસ પર કાચની બાટલીઓ અને અન્ય વસ્તુ ફેંકનાર ૧૫૦ જેટલા લોકોને શોધી
રહી છે.
- ડી. વક્તાણિયા અને સાર્થક મહેતા