લવ જેહાદના વિરોધમાં દહાણુ બંધ

11 June, 2026 07:26 AM IST  |  Dahanu | Gujarati Mid-day Correspondent

સાંજે યોજાયેલી સભામાં ગુજરાતની જેમ મહારાષ્ટ્રમાં પણ લવ જેહાદના મુદ્દે કડક કાયદો બનાવવાની થઈ માગણી ઃ જય ભવાની, જય શિવાજીના ગુંજ્યા નારા

ગઈ કાલે દહાણુમાં યોજાયેલી સભામાં લોકો ઊમટ્યા હતા.

ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર છેલ્લા કેટલાક સમયથી વધેલા લવ જેહાદના કિસ્સાઓને લઈને ગઈ કાલે દહાણુમાં બંધ પાળવામાં આવ્યો હતો અને લોકોએ આવી ઘટનાઓ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. સાંજે યોજાયેલી સભામાં લોકો ઊમટ્યા હતા અને જય ભવાની, જય શિવાજી સહિતના નારા ગાજ્યા હતા. વધતી જતી લવ જેહાદની ઘટનાઓ સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. ગુજરાતની જેમ મહારાષ્ટ્રમાં પણ લવ જેહાદના મુદ્દે કડક કાયદો બનાવવા સભામાં માગણી થઈ હતી. આ સભામાં વલસાડ જિલ્લાના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને લવ જેહાદની ઘટનાઓ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

વલસાડ જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના અગ્રણી પીયૂષ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં લવ જેહાદની ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી બની રહી છે. કેટલાક કિસ્સાઓમાં તો હિન્દુ સમાજની દીકરીઓને વિધર્મીઓ દ્વારા ફોસલાવીને વિદેશ લઈ જઈને લગ્ન કર્યા હોવાના કિસ્સા બહાર આવ્યા છે ત્યારે લવ જેહાદની ઘટનાઓને લઈને દહાણુ બંધનું એલાન અપાયું હતું. દહાણુ તેમ જ ઘોલવડ, બોરડી સહિતનાં ગામોમાં બંધ પાળવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ એમાં સહકાર આપ્યો હતો. દહાણુમાં સાંજે સભા યોજાઈ હતી જેમાં મહારાષ્ટ્ર કોકણ પ્રાંતના બજરંગ દળના સહસંયોજક ગૌતમ રાવડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં ગુજરાતની જેમ મહારાષ્ટ્રમાં પણ લવ જેહાદ સામે કડક કાયદો બનાવવા માટે માગણી થઈ હતી. દહાણુમાં યોજાયેલી સભામાં મારા સહિત વલસાડ જિલ્લાના VHPના આગેવાનો તેમ જ કાર્યકરો ગયા હતા અને સપોર્ટ કર્યો હતો, કેમ કે અમારા વિસ્તારમાં પણ લવ જેહાદની ઘટનાઓ બની છે. એને રોકવા માટે સૌએ આગળ આવવું પડશે અને જાગૃત થવું પડશે.’ 

mumbai news mumbai dahanu gujarat maharashtra vishwa hindu parishad