12 September, 2025 07:24 AM IST | Mumbai | Sanjeev Shivadekar
છગન ભુજબળ
મરાઠાઓને હૈદરાબાદ ગૅઝેટના આધારે કુણબી સર્ટિફિકેટ આપીને અનામતમાં સામેલ કરવાનો નિર્ણય લઈને એ માટેનું ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું હોવાથી એને કારણે અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ને અસર થશે એમ કહીને હવે OBC નેતા છગન ભુજબળ મેદાને પડ્યા છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમને ખાતરી આપી છે કે આ રેઝોલ્યુશનને કારણે OBCને અપાયેલી અનામતમાં કોઈ ફરક નહીં પડે. એમ છતાં છગન ભુજબળે ૮ અથવા ૯ ઑક્ટોબરે મનોજ જરાંગેની જેમ જ મુંબઈમાં આંદોલન કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે જેને કારણે ફરી એક વાર મુંબઈ ખોરંભે ચડી શકે છે અને મુંબઈગરાએ હાડમારી ભોગવવી પડે એમ છે.
હૈદરાબાદ ગૅઝેટના સમાવેશ બદલ છગન ભુજબળે કહ્યું હતું કે ‘ઑલરેડી સ્થાનિક સ્તરે OBC દ્વારા આનો વિરોધ થઈ જ રહ્યો છે. તેઓ એકસાથે મળીને મોટા પાયે વિરોધ-પ્રદર્શન કરે એવી શક્યતાઓ નકારી ન શકાય. લોકશાહીમાં OBC સમાજ પણ પોતાના હક અને અધિકારો માટે આંદોલનનો માર્ગ અપનાવી શકે છે.’
મરાઠા ક્રાન્તિ મોરચાના નેતા મનોજ જરાંગેએ ૨૯ ઑગસ્ટે આઝાદ મેદાનમાં અનામતની માગણી લઈને અનશન શરૂ કર્યા હતા. પાંચમા દિવસે સરકારે તેમની માગણી માન્ય રાખીને GR ઇશ્યુ કર્યો હતો. જોકે તેમના આ આંદોલનમાં હજારો મરાઠાઓએ ભાગ લેતાં ક્યારેય બંધ ન રહેતા મુંબઈના CSMT પરિસરના રસ્તા આંદોલનકારીઓએ કબજે કરી લીધા હતા અને હડકંપ મચાવ્યો હતો. દરમ્યાન OBC સમાજે પણ હવે મરાઠાઓને અપાયેલી આ અનામત સામે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી છે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘OBC નેતાઓ અને સમાજે GR બરાબર વાંચવું જોઈએ. GRમાં એવુ ક્યાંય લખ્યું નથી કે સીધેસીધી દરેક મરાઠાને અનામત આપવી. જે કોઈ એ અનામતનો લાભ લેવા અરજી કરશે તેણે એ માટે તેની વંશાવલિના પુરાવા આપવા પડશે. એ દસ્તાવેજોની પછી ઑથોરિટી ચકાસણી કરશે. સરકાર કોર્ટમાં પણ આ બાબતની વ્યવસ્થિત રજૂઆત કરશે.’
દેવેન્દ્ર ફડણવીસને OBC નેતાઓ મુંબઈમાં એ માટે આંદોલન કરવાના છે એવું પત્રકારોએ કહ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘GR તો બરોબર જ છે, પણ જો કોઈને એને લઈને પૉલિટિક્સ કરવું હોય તો અમે શું કરી શકીએ?’