બોમ્બે હાઈકોર્ટે સમીર વાનખેડેને આપી મોટી રાહત: 23 જૂન સુધી ધરપકડ સામે રક્ષણ

08 June, 2023 07:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

NCB મુંબઈના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે હવે સીબીઆઈ (CBI) દ્વારા નોંધાયેલા ખંડણી અને લાંચના કેસમાં ધરપકડથી તેમની વચગાળાની સુરક્ષા 23 જૂન સુધી લંબાવી છે

ફાઇલ તસવીર

NCB મુંબઈના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede)ને બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)માંથી મોટી રાહત મળી છે. કોર્ટે હવે સીબીઆઈ (CBI) દ્વારા નોંધાયેલા ખંડણી અને લાંચના કેસમાં ધરપકડથી તેમની વચગાળાની સુરક્ષા 23 જૂન સુધી લંબાવી છે. આરોપો અનુસાર, વાનખેડે અને અન્ય ચારે ઑક્ટોબર 2021માં ક્રુઝ શિપમાંથી ડ્રગ્સ કથિત રીતે જપ્ત કર્યા પછી શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ફસાવવા માટે અભિનેતા પાસેથી 25 કરોડ રૂપિયાની લાંચ માગી હતી.

જસ્ટિસ એએસ ગડકરી અને જસ્ટિસ એસજી ડિગેની ડિવિઝન બેન્ચે આ કેસની સુનાવણી કરતા કહ્યું કે તે આ મામલે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની એફઆઈઆરને રદ કરવાની વાનખેડેની અરજી પર 23 જૂને સુનાવણી કરશે. વાનખેડેના વકીલ આબાદ પોંડાએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે કોર્ટના અગાઉના નિર્દેશ મુજબ ભારતીય મહેસૂલ સેવા (IRS) અધિકારી સાત વખત પૂછપરછ માટે CBI સમક્ષ હાજર થયા છે અને તપાસમાં સહકાર પણ આપી રહ્યા છે. સીબીઆઈના વકીલ કુલદીપ પાટીલે કોર્ટને જણાવ્યું હતું કે કેસની તપાસ નાજુક તબક્કામાં છે. ત્યારબાદ બેન્ચે કહ્યું કે તે વાનખેડેની અરજી પર 23 જૂને સુનાવણી કરશે. કોર્ટે કહ્યું કે, “મંજૂર કરાયેલ વચગાળાની રાહત આગામી તારીખ સુધી લંબાવવામાં આવી છે.”

સીબીઆઈએ ગયા અઠવાડિયે એફિડેવિટ દાખલ કરી

વાનખેડે (Sameer Wankhede)એ ગયા મહિને હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને આ કેસને રદ કરવાની માગ કરી હતી અને કોઈપણ બળજબરીભરી કાર્યવાહીથી વચગાળાનું રક્ષણ પણ માગ્યું હતું. ત્યારબાદ હાઈકોર્ટની વેકેશન બેન્ચે વાનખેડેને 8 જૂન સુધી ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું અને તેમને તપાસમાં સહકાર આપવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

સીબીઆઈએ ગયા અઠવાડિયે દાખલ કરેલા તેના સોગંદનામામાં વચગાળાનું રક્ષણ પાછું ખેંચવાની માગણી કરી હતી અને કહ્યું હતું કે વાનખેડે સામે પ્રાથમિક દૃષ્ટિએ કેસ કરવામાં આવ્યો હતો. વાનખેડે અને આ કેસના અન્ય આરોપીઓ પર ભારતીય દંડ સંહિતા અને લાંચ સંબંધિત ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ ગુનાહિત કાવતરું અને ખંડણીની ધમકીના આરોપ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પૂજા ડડલાનીએ આપ્યું હતું વાનખેડે વિરુદ્ધ નિવેદન

ઉલ્લેખનીય છે કે નાર્કોટિક્સ કન્ટ્રો બ્યૂરોના વિજિલેન્સ રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે કે સમીર વાનખેડે વિરુદ્ધ સીબીઆઈના એફઆઈઆરમાં એનસીબીના પૂર્વ અધિકારી પર શાહરુખ ખાન પાસેતી 25 કરોડ રૂપિયા માગવાનો આરોપ મૂક્યો હતો, જે શાહરુખ ખાનની મેનેજર પૂજા ડડલાણીના નિવેદન પર આધારિત હતો.

આ પણ વાંચો: Mumbai Rains: રવિવાર સુધીમાં આવશે મેઘરાજાની સવારી, કાળઝાળ ગરમીથી મળશે રાહત

ડડલાનીએ કહેવાતી રીતે કાર્ડેલિયા ક્રૂઝ પર દરોડા પાડવા અને આર્યન ખાનની ધરપકડ કર્યા બાદ 50 લાખ રૂપિયાની એત બૅગ સોંપી દીધી હતી. સીબીઆઈની એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે સમીર વાનખેડેએ આર્યન ખાન કેસમાં એક સ્વતંત્ર સાક્ષી કેપી ગોસાવીને ફ્રીહેન્ડ આપ્યું અને આર્યન ખાનને ગોસાવીની કારમાં એનસીબી કાર્યાલય લાવવામાં આવ્યો. સીબીઆઈએ દાવો કર્યો કે સિદ્ધાર્થ શાહે કહેવાતી રીતે આર્યન ખાનના જૂના મિત્ર અરબાઝ મર્ચેન્ટને ચરસનું સપ્લાય કર્યું હતું, પણ સિદ્ધાર્થને છોડી દેવામાં આવ્યો હતો.

bombay high court central bureau of investigation mumbai mumbai news aryan khan