14 February, 2026 12:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સરકારને મોટી રાહત આપતાં બૉમ્બે હાઈ કોર્ટે શુક્રવારે સ્વામી સમર્થનગર-વિક્રોલી વચ્ચે દોડનારી મેટ્રો 6ના કારશેડ માટે કાંજુરમાર્ગ ખાતે ૧૫ હેક્ટરના પ્લૉટના ઉપયોગને પડકારતી અરજી ફગાવી દીધી છે.
મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેન્ચે અગાઉના વચગાળાના આદેશને પણ રદ કર્યો હતો જેમાં અધિકારીઓને જમીન પર સ્ટેટસ ક્વો એટલે કે યથાસ્થિતિ જાળવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ ઓર્ડર બાદ પ્રોજેક્ટ માટેનું મુખ્ય વિઘ્ન દૂર થયું છે.
કાંજુરમાર્ગ જમીન અંગેના વિવાદમાં અગાઉ કેન્દ્ર અને રાજ્ય સરકાર બન્ને સામેલ હતી. કેન્દ્રએ મેટ્રો 6 કારશેડ માટે જમીન ફાળવવાના રાજ્યના નિર્ણયને પડકાર્યો હતો. જોકે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ સત્તા સંભાળ્યા પછી કેન્દ્ર સરકારે સમાધાન કરીને એની અરજી પાછી ખેંચી લીધી હતી.
આમ છતાં પ્રાઇવેટ ડેવલપર દ્વારા દાખલ કરવામાં આવેલી એક અલગ અરજીને કારણે મામલો હાઈ કોર્ટ સમક્ષ પેન્ડિંગ રહ્યો હતો.
સુનાવણી દરમ્યાન રાજ્ય સરકારે કોર્ટને જાણ કરી હતી કે કેન્દ્રએ એને ૧૫ હેક્ટરનો પ્લૉટ પહેલેથી જ ઉપલબ્ધ કરાવી દીધો છે. જમીન ખરેખર તો અફૉર્ડેબલ હાઉસિંગ માટે રાખવામાં આવી હતી, પરંતુ રાજ્યએ મેટ્રો 6 કારશેડ માટે એનો ઉપયોગ કરવાની પરવાનગી માગી હતી જેને પ્રાઇવેટ ડેવલપરે પડકારી હતી. હાઈ કોર્ટે હવે એ અરજી ફગાવી દીધી અને વચગાળાનો આદેશ રદ કર્યો છે.
આ ચુકાદાથી મહત્ત્વપૂર્ણ ઈસ્ટ-વેસ્ટ મેટ્રો કૉરિડોરના કામને વેગ મળશે.