24 April, 2026 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતા હેઠળ ભારતીય જનતા પાર્ટી (BJP)ની કોર કમિટીએ આવતા મહિને યોજાનારી વિધાનપરિષદની ચૂંટણી માટેની રણનીતિ તેમ જ કૉન્ગ્રેસનાં પ્રજ્ઞા સાતવ રાજીનામું આપીને BJPમાં જોડાયા બાદ ખાલી પડેલી એક પરિષદ બેઠકની પેટાચૂંટણી વિશે ચર્ચા કરવા બુધવારે રાતે બેઠક યોજી હતી.
BJP ૯ બેઠકોમાંથી ૪ બેઠકો પર ચૂંટણી લડશે અને પેટાચૂંટણી માટે ઉમેદવાર ઊભા રાખશે. સંભવિત ઉમેદવારોનાં નામની ચર્ચા કરવામાં આવી હતી અને શૉર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોની મંજૂરી માટે કેન્દ્રીય નેતૃત્વને મોકલવામાં આવશે.
વિધાનસભામાં હાલના સંખ્યાબળને જોતાં BJP, શિવસેના અને નૅશનલ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)નો સમાવેશ કરતી મહાયુતિ દસમાંથી ૯ બેઠકો મેળવે એવી શક્યતા છે, જ્યારે વિપક્ષી મહા વિકાસ આઘાડી (MVA) માત્ર એક બેઠક જીતે એવી શક્યતા છે.
NCP (SP)એ ઉદ્ધવ ઠાકરેને ચૂંટણી લડવા વિનંતી કરી
મહા વિકાસ આઘાડીના NCP (SP)એ ગુરુવારે શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્ર વિધાનપરિષદની ચૂંટણીમાં વિપક્ષની એકમાત્ર જીતી શકાય એવી બેઠક પર ચૂંટણી લડવા વિનંતી કરી છે, જ્યારે કૉન્ગ્રેસે કહ્યું કે ત્રણેય પક્ષ સાથે મળીને આ સંદર્ભે નિર્ણય લેશે. NCP (SP)નાં કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુળેએ ગુરુવારે ઠાકરેને કાઉન્સિલની ચૂંટણી લડવાની અપીલ કરતાં કહ્યું હતું કે તેમનો અનુભવ રાજ્યને માર્ગદર્શન આપતો રહેશે.