BJPએ નિર્ધાર જાહેર કર્યો કે મીરા-ભાઈંદરમાં કતલખાનાં નહીં બને

12 January, 2026 08:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ ઉપરાંત આ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે રીડેવલપમેન્ટની નવી પૉલિસી લાવવામાં આવશે

પશુઓના આરોગ્ય અને કલ્યાણ માટે અત્યાધુનિક પશુ હૉસ્પિટલ ઊભી કરવામાં આવશે

મીરા-ભાઈંદરમાં કતલખાનાનો વિષય હંમેશાં જ્વંલત રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)એ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જો આગામી ચૂંટણીમાં પક્ષ બહુમતી સાથે સત્તામાં આવશે તો મીરા-ભાઈંદરમાં કતલખાનાં બનાવવા દેવામાં આવશે નહીં. એને બદલે પશુઓના આરોગ્ય અને કલ્યાણ માટે અત્યાધુનિક પશુ હૉસ્પિટલ ઊભી કરવામાં આવશે. ઉપરાંત મીરા-ભાઈંદર ઝડપથી વિકસતું શહેર હોવાથી વિકાસને કેન્દ્રમાં રાખીને શહેરના ઉજ્જ્વળ ભવિષ્ય માટે રી-ડેવલપમેન્ટની નવી નીતિ સાથે પ્લાન તૈયાર કરવામાં આવશે.

BJPના તમામ સભ્યોએ હંમેશાં કતલખાનાંનો વિરોધ કર્યો છે. ભૂતકાળમાં પણ BJPએ કતલખાનાં માટે અવાજ ઉપાડતાં મીરા-ભાઈંદર છોડી દેવામાં આવે એવા શબ્દોનો ઉપયોગ કરાયો હતો. એથી BJPએ મક્કમ નિર્ણય લીધો છે કે મીરા-ભાઈંદરમાં કતલખાનાં ક્યારેય ન બને એવાં પગલાં લેવામાં આવશે. જીવદયાના આવા નિર્ણય સાથે પશુઓને યોગ્ય સમયે સારી આરોગ્ય સારવાર મળી રહે એ માટે બહુમતી મળી રહેશે તો અત્યાધુનિક હૉસ્પિટલ બનાવવાનો પણ BJPએ નિર્ધાર લીધો છે. જીવદયા સાથે રહેવાસીઓને પણ રાહત મળે એ માટે રી-ડેવલપમેન્ટની સમસ્યાને પણ નવી નીતિ, યોજના લાવીને ઉકેલ લવાશે. રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ મીરા-ભાઈંદરની જનતાને સારાં ઘરોમાં પરિવાર સાથે કઈ રીતે રહી શકે એ માટે રી-ડેવલપમેન્ટની નવી યોજના જલદી લાગુ કરવામાં આવશે એવું આશ્વાસન આપ્યું છે. પશુઓ માટેની હૉસ્પિટલમાં દરેક પ્રકારની મેડિકલથી લઈને સાધનો ઉપલબ્ધ કરવામાં આવશે જેથી પ્રાણીઓના મોટા પ્રમાણમાં જીવ બચાવી શકાશે.

mumbai news mumbai mira bhayandar municipal corporation mira road bhayander bharatiya janata party political news wildlife