20 February, 2026 10:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
રાજ્યમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીઓ પછી મેયરપદ માટેની ચૂંટણીઓ પણ પૂરી થઈ ગઈ છે. જોકે હજી સુધી ભિવંડી-નિઝામપુર મ્યુનિસિપલ કૉર્પોરેશનના મેયરની ચૂંટણી થઈ નથી. ત્યાં એક મોટો રાજકીય ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના મેયરપદના ઉમેદવાર નારાયણ ચૌધરીએ તેમના ૯ સમર્થક નગરસેવકો સાથે BJP છોડીને ભિવંડી વિકાસ આઘાડી સાથે હાથ મિલાવ્યા હોવાથી ત્યાંનું રાજકીય ચિત્ર બદલાઈ ગયું છે. આ પરિસ્થિતિમાં કૉન્ગ્રેસના પ્રદેશપ્રમુખ હર્ષવર્ધન સપકાળ અને ભિવંડીના સંસદસભ્ય બાલ્યા મામાએ મેયરપદની ચૂંટણી વિશે માહિતી આપી હતી.
ભિવંડીના બાલ્યા મામાએ કહ્યું હતું કે ‘જ્યાં સુધી સંખ્યાબળ ન હોય ત્યાં સુધી ચૂંટણીઓ થતી નથી. ભિવંડીમાં આવું જ જોવા મળ્યું છે. અમે ભિવંડીમાં ચૂંટણીનો સામનો કર્યો. અહીં કૉન્ગ્રેસે સૌથી વધુ બેઠકો જીતી છે. બહુમતી માટે અમે ૧૬ બેઠકથી ઓછા પડ્યા. ત્યાં અમે સેક્યુલર મોરચો શરૂ કર્યો. શરદ પવારની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના ૧૨ કૉર્પોરેટરો એમાં સામેલ થયા છે. તેથી અમારી સંખ્યા ૪૨ થઈ ગઈ છે. આ ઉપરાંત અમે અપક્ષોનું ગઠબંધન બનાવવાનો પ્રયાસ કર્યો. અમારું વલણ હતું કે અમે BJP અને શિંદેસેનાનો ટેકો નહીં લઈએ. જો કોઈ BJPની બહારથી આવે છે તો અમે ચર્ચા કરવા તૈયાર છીએ. નારાયણ ચૌધરી પહેલાં કૉન્ગ્રેસ પાર્ટીમાંથી હતા. તેઓ ચૂંટણી પહેલાં BJPમાં જોડાયા હતા, પરંતુ હવે તેઓ સેક્યુલર મોરચામાં આવ્યા છે. તેઓ ૯ કૉર્પોરેટરો સાથે આવ્યા છે. આમાં કોને આગળ મૂકવો એ અમે નક્કી કરીશું. નારાયણ ચૌધરીએ મેયરપદ માટે અરજી દાખલ કરી છે, જ્યારે તારિક અનવરે અમારા તરફથી અરજી દાખલ કરી છે. નારાયણ ચૌધરીએ BJP છોડી દીધી છે. અમે નારાયણ ચૌધરીને મત આપવા નગરસેવકોને હાકલ કરી છે. ભિવંડીમાં મેયર કોણ બનશે એ સ્પષ્ટ થઈ જશે.’
કૉન્ગ્રેસ, NCP અને BJPના નારાયણ ચૌધરી અને તેમના સાથીઓ મેયરપદ માટે બહુમતીનો આંકડો પહોંચાડી શકે છે. તેથી કૉન્ગ્રેસે આજે વ્હિપ જાહેર કર્યો છે જેમાં નારાયણ ચૌધરીને મેયરપદ માટે અને કૉન્ગ્રેસના તારિક અનવરને ડેપ્યુટી મેયરપદ માટે મતદાન કરવા કહેવામાં આવ્યું છે. જોકે જો મતદાન BJPના વ્હિપ વિરુદ્ધ થાય છે તો BJP દ્વારા એની વિરુદ્ધ મતદાન કરનારાઓ સામે કાર્યવાહી થવાની શક્યતા છે.
ભિવંડી મ્યુનિસિપલ કૉર્પોરેશનના મેયર અને ડેપ્યુટી મેયર માટે આજે ચૂંટણી યોજાશે. મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં કૉન્ગ્રેસને ૩૦, BJPને ૨૨, NCPને ૧૨, શિવસેનાને ૧૨, સમાજવાદી પાર્ટીને ૬, કોણાર્ક વિકાસ આઘાડીને ૪, ભિવંડી વિકાસ આઘાડીને ૩ અને અપક્ષને ૧ બેઠક મળી છે.
મ્યુનિસિપલ કૉર્પોરેશનના મેયરની ચૂંટણીમાં જો કોઈ પક્ષે જૂથ કે ગઠબંધન બનાવ્યું હોય તો પણ એ જૂથ વિભાજિત થઈ શકે છે. જોકે આવા કિસ્સામાં જો પક્ષના વ્હિપ અથવા આદેશની વિરુદ્ધ મતદાન થાય છે તો સંબંધિત કૉર્પોરેટરને ગેરલાયક ઠેરવી શકાય છે અને તેનું સભ્યપદ તેમ જ તેને મળેલું પદ ગુમાવી શકે છે. જો આ અંગે ફરિયાદ મળે છે તો વિભાગીય કમિશનરની કચેરી દ્વારા કાર્યવાહી કરી શકાય છે. આ ઉપરાંત સંબંધિત પક્ષ એના સભ્યો સામે સસ્પેન્શન અથવા હકાલપટ્ટી જેવી આંતરિક પક્ષીય કાર્યવાહી પણ કરી શકે છે.