07 February, 2026 10:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ગેરકાયદે અતિક્રમણ સામે મોટી કાર્યવાહીમાં મહેસૂલ વિભાગે બુધવારે ભિવંડીના કશેળી ગામમાં મૅન્ગ્રોવ્ઝ અને મીઠાના અગરની જમીન પર ગેરકાયદે બાંધવામાં આવેલાં પચાસ ગોદામો તોડી પાડ્યાં હતાં. આ કાર્યવાહી બૉમ્બે હાઈ કોર્ટના નિર્દેશો અનુસાર અને ભિવંડી તહસીલદાર અભિજિત ખોલેના નેતૃત્વમાં મહેસૂલ અધિકારીઓ અને નારપોલી પોલીસની મદદથી કરવામાં આવી હતી.
ભિવંડી-થાણે રોડ પર કશેળી ફર્નિચર માર્કેટને અડીને આવેલા ખાડીકિનારે એ ગોદામો ઊભાં કરી દેવાયાં હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગોદામો ગેરકાયદે બાંધવામાં આવ્યાં હતાં અને ફર્નિચર બનાવવા અને સ્ટોર કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.
આ ડિમોલિશન દરમ્યાન સ્થાનિકો દ્વારા વિરોધ થવાની શક્યતા હતી. એથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભારે પોલીસ-બંદોબસ્ત હેઠળ ૬ જેસીબી મશીનોનો ઉપયોગ કરીને ડિમોલિશન-ઝુંબેશ ચલાવવામાં આવી હતી. સમગ્ર કામગીરી દરમ્યાન સર્કલ ઑફિસર, તલાટી (ગ્રામ્ય મહેસૂલ અધિકારીઓ) અને નારપોલી પોલીસ-સ્ટેશનના કર્મચારીઓ સહિત મહેસૂલ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.