05 February, 2026 07:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-વેસ્ટના LBS રોડ પરની એક સોસાયટીમાં રહેતા ૮૫ વર્ષના આયુર્વેદિક ડૉક્ટરની ઘર બદલવાની પ્રક્રિયા દરમ્યાન ૧૮ લાખ રૂપિયાના સોનાના દાગીનાની ચોરી થઈ હોવાની ચોંકાવનારી ઘટના ગઈ કાલે પ્રકાશમાં આવી હતી. આ મામલે ઘાટકોપર પોલીસે ગઈ કાલે ડૉક્ટરની ફરિયાદના આધારે ચોરીની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ડૉક્ટરે બિલ્ડિંગના રીડેવલપમેન્ટને કારણે ઘર બદલવાનું હતું અને ઓળખીતી વ્યક્તિ દ્વારા લાવવામાં આવેલા મજૂરો દ્વારા સામાન ખસેડવામાં આવ્યો હતો. ત્યારે કબાટ યોગ્ય રીતે બંધ ન થવાને કારણે કોઈએ દાગીના ચોરી કર્યા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
ઘાટકોપર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સતીશ જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડૉક્ટર અગાઉ ઘાટકોપરની એક જાણીતી હોસ્પિટલમાં સેવા આપતા હતા અને હાલ તેઓ પોતાની ભત્રીજી સાથે રહે છે. ઘર બદલવા માટે તેમણે ઓળખીતી વ્યક્તિને મદદ માટે બોલાવી હતી. ૩૦ જાન્યુઆરીએ ઘાટકોપર-વેસ્ટની એક સોસાયટીમાંથી બીજી સોસાયટીમાં સામાન બહારથી બોલાવેલા મજૂરોએ ખસેડ્યો હતો. ત્યાર બાદ સોમવારે સામાન ગોઠવતી વખતે દાગીનાની થેલી શોધતાં એ મળી નહોતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે થેલી લોખંડના કબાટમાં હતી, પરંતુ લૉક લગાવવામાં આવ્યું નહોતું. અંતે સોનાની બંગડીઓ, હાર, કડાં, કાનનાં બુટિયાં, તુલસીની માળા, મંગળસૂત્ર અને ૧૬,૦૦૦ રૂપિયા રોકડા એમ કુલ ૧૮ લાખ રૂપિયાના દાગીનાની ચોરી થઈ હોવાની ખાતરી થતાં એ ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવવામાં આવી હતી. આ મામલે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’