03 February, 2026 08:24 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અજીત પવાર (ફાઇલ તસવીર)
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને NCP ના વડા અજિત પવારનું ૨૮ જાન્યુઆરીના રોજ વિમાન અકસ્માતમાં અવસાન થયું હતું. બારામતી ઍરપોર્ટ નજીક થયેલા અકસ્માતમાં અજિત પવાર અને અન્ય 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. આ ઘટનાથી રાજ્યભરમાં શોક ફેલાયો છે, રાજ્ય સરકારે ૩ દિવસનો રાજકીય શોક પણ જાહેર કર્યો હતો. જોકે, હવે અજિત પવારના વિમાન દુર્ઘટના અંગે અનેક શંકાઓ ઉભી કરવામાં આવી રહી છે. ઘણા નેતાઓએ આ અકસ્માતની સંપૂર્ણ તપાસની માગ કરી છે. ઘણા લોકોએ તો અકસ્માતની શક્યતાને નકારીને તે હુમલો હોવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. તેવી જ રીતે, હવે NCP ધારાસભ્ય અમોલ મિટકરીએ અજિત દાદાની અંતિમ યાત્રાના CCTV ફૂટેજ જાહેર કરવાની માગ કરી છે. ચાલો આ વિશે વિગતો જાણીએ.
NCP ધારાસભ્ય અમોલ મિટકરીએ એક ટ્વીટમાં મોટી માગણી કરી છે. અમોલ મિટકરીએ વિનંતી કરી છે કે 28 જાન્યુઆરી 2026 ના રોજ મુંબઈ ઍરપોર્ટના મુખ્ય પ્રવેશદ્વારથી વિમાનમાં ચઢવા સુધીના આદરણીય અજિત દાદાના તમામ વીડિયો શૂટિંગ અને CCTV ફૂટેજ DGCA બ્લૅક બૉક્સ તપાસ રિપોર્ટ સાથે બહાર પાડવામાં આવે તે પહેલાં તાત્કાલિક સત્તાવાર રીતે જાહેર કરવામાં આવવા જોઈએ. હવે એ જોવાનું મહત્ત્વપૂર્ણ રહેશે કે DGCA અમોલ મિટકરીની આ વિનંતી સ્વીકારે છે કે નહીં.
અજિત પવારે સવારે 8 વાગ્યે મુંબઈ ઍરપોર્ટથી બારામતી માટે ઉડાન ભરી હતી. જોકે, વિમાન લૅન્ડિંગ કરતી વખતે સવારે 8 વાગીને 45 મિનિટે ક્રૅશ થયું. વિમાને બારામતી ઍરપોર્ટ પર ઉતરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ધુમ્મસને કારણે પહેલો પ્રયાસ નિષ્ફળ ગયો. ત્યારબાદ બીજો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ આ પ્રયાસમાં વિમાન રનવે પાસે જમીન પર અથડાયું. આ પછી, વિમાન અને વિમાનમાં સવાર તમામ મુસાફરો બળીને રાખ થઈ ગયા હતા.
અમોલ મિટકરીએ અગાઉ પણ અજીત પવારના અકસ્માત અંગે શંકા વ્યક્ત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા. અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા, તો પછી ખરેખર ફક્ત 5 મૃતદેહ જ કેમ મળ્યા? છઠ્ઠો વ્યક્તિ ક્યાં ગયો? ટેક-ઑફ પહેલાં મુસાફરોની યાદી ડિજિટલ રીતે રેકોર્ડ કરવામાં આવે છે, તો પછી આટલી વિસંગતતા કેમ? કાગળનો એક પણ ટુકડો બળી ગયો હોય તેવું કેમ દેખાતું નથી? પાઇલોટને આટલી વાર કેમ બદલવામાં આવ્યા? આ પ્રશ્નો અમોલ મિટકરીએ ઉઠાવ્યા હતા. તેમ જ અજીત પવારના મૃત્યુને લઈને વિરોધી પક્ષના અનેક નેતાઓએ પણ કેટલાક પ્રશ્નો ઊભા કર્યા હતા અને હવે જ્યાં સુધી તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ મામલે રાજકારણ ગરમાશે એવું લાગી રહ્યું છે.