પાણી સાવ ઓછું, પ્રેશર પણ ઓછું

04 July, 2024 06:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે આ મુદ્દે બોલાવી બેઠક

રાહુલ નાર્વેકર

મુંબઈગરાને હજી પણ ઓછું અને લો પ્રેશરથી પાણી મળી રહ્યું હોવાની રજૂઆત વિધાનસભ્ય આશિષ શેલારે હાલ ચાલી રહેલા વિધાનસભાના સત્રમાં કરતાં વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે હવે આ સંદર્ભે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના હાઇડ્રોલિક એન્જિનિયરો, મુંબઈના વિધાનસભ્યો અને પ્રધાનને શુક્રવારે તેમની કૅબિનમાં બોલાવેલી બેઠકમાં હાજર રહેવા જણાવ્યું છે.

આશિષ શેલારે આ સંદર્ભે વિધાનસભામાં રજૂઆત કરતાં કહ્યું હતું કે BMCમાં સત્તા ધરાવતી શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)એ મુંબઈમાં ૨૪ કલાક પાણી આપવાનું આશ્વાસન આપ્યું હતું, પણ હકીકતમાં બે કલાક પણ પાણી આવતું નથી. તેમણે કહ્યું હતું કે બાંદરા-વેસ્ટમાં ૨૪ કલાક પાણી આપવાનો પાઇલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, પણ એ પૂર્ણપણે નિષ્ફળ ગયો છે. એથી તેમના બાંદરા-વેસ્ટના મતવિસ્તારના બાંદરા-વેસ્ટ, ખારદાંડા, ગઝદર બંધમાં એક કલાક પણ પાણી આવતું નથી એટલું જ નહીં; મુંબઈના અન્ય વિસ્તારોમાં પણ પાણીની અપૂરતી સપ્લાય થતી હોવાની ફરિયાદો મળી છે. તેમની આ રજૂઆતને અન્ય વિધાનસભ્યોએ સમર્થન આપ્યું હતું અને તેમણે આ સંદર્ભે આક્રમક રજૂઆત કરી હતી. એથી વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે BMCના હાઇડ્રોલિક એન્જિનિયરને મુંબઈને થતી પાણી સપ્લાયની ​માહિતી તાત્કાલિક સંબં​ધિત પ્રધાનને આપવી એવો નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત આ સંદર્ભે તેમણે શુક્રવારે તેમની કૅબિનમાં બેઠક બોલાવી છે અને એમાં વિધાનસભ્યો તથા ‍BMCના અધિકારીઓને હાજર રહેવા જણાવ્યું છે.

mumbai news mumbai Water Cut mumbai water levels ashish shelar brihanmumbai municipal corporation