25 July, 2024 08:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પુણેના મૂર્તિકાર દીપક થોપટેએ તૈયાર કરેલું વધનું પૂતળું.
હિન્દવી સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજે આદિલશાહના કદાવર અને તાકાતવાન સેનાપતિ અફઝલ ખાનનો ૧૬૫૯ની ૧૦ નવેમ્બરે પ્રતાપગઢ કિલ્લાની તળેટીમાં વધ કર્યો હતો. આ પરાક્રમી પ્રસંગ ૩૬૫ વર્ષ જૂનો હોવા છતાં શિવપ્રેમીઓ આજેય ભૂલ્યા નથી. નવી પેઢી છત્રપતિ શિવાજી મહારાજના પરાક્રમને નજરે જોઈ શકે એ માટે મહારાષ્ટ્ર સરકારે વધના સ્થળે ૧૮ ફીટ ઊંચાઈનું પૂતળું મૂકવાનો નિર્ણય લીધો છે. આ વિશે ભારતીય જનતા પાર્ટીના મલબાર હિલના વિધાનસભ્ય અને રાજ્ય સરકારના કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ ગઈ કાલે કહ્યું હતું કે ‘છત્રપતિ શિવાજી મહારાજે અફઝલ ખાનનો વધ કર્યો હતો એ પરાક્રમ નવી પેઢી જોઈ શકે એ માટે પ્રતાપગઢ કિલ્લાની તળેટીમાં આ પ્રસંગનું પૂતળું મૂકવામાં આવશે. પૂતળું બનાવવાનું કામ પૂરું થવામાં છે. આથી આવતા મહિને આ પૂતળાનું અનાવરણ કરવામાં આવશે. પુણેમાં મૂર્તિકાર દીપક થોપટે આ પૂતળું બનાવી રહ્યા છે.’ ઉલ્લેખનીય છે કે છત્રપતિ શિવાજી મહારાજે અફઝલ ખાનનો વધ ૧૦ નવેમ્બરે કર્યો હતો એટલે દર વર્ષે આ દિવસને શિવપ્રતાપ દિવસ તરીકે ઊજવવામાં આવે છે.