01 March, 2026 07:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેયર રિતુ તાવડેએ રાજાવાડી હૉસ્પિટલમાં જઈને ઘાયલ મજૂરો સાથે વાતચીત કરી હતી.
ચેમ્બુરના સુભાષનગરના બિલ્ડિંગ-નંબર ૩૬નું રીડેવલપમેન્ટ કરી રહેલા આદિત્ય રાજ ડેવલપર દ્વારા ચણાઈ રહેલા અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાંથી ગઈ કાલે સવારે ૯.૪૫થી ૧૦ વાગ્યા દરમ્યાન ૬ મજૂર નીચે પટકાયા હતા. એમાંથી એકનું મોત થયું હતું અને અન્ય ઘાયલ થયા હતા. ઘાયલ મજૂરોને રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગના છઠ્ઠા માળે પાર્કિંગ લોફની દીવાલ તૂટી પડી હતી. એ વખતે ત્યાં કામ કરી રહેલા આ કામગારોએ સેફ્ટી-ગિયર પહેર્યાં નહોતાં એટલે અકસ્માત થયો હતો એમ કહેવાઈ રહ્યું છે. આ દુર્ઘટનામાં પંચાવન વર્ષના રામલ્લુ નામના મજૂરનું મોત થયું હતું, જ્યારે અન્ય પાંચ જણને રાજાવાડી હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. એમાંથી એકની હાલત ગંભીર હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું.
આ ઘટનાની જાણ થતાં મુંબઈનાં મેયર રિતુ તાવડે અને ડેપ્યુટી મેયર સંજય ઘાડી ઘટનાસ્થળે દોડી ગયાં હતાં. તેમની સાથે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)માં વિરોધ પક્ષનાં નેતા કિશોરી પેડણેકર પણ પહોંચી ગયાં હતાં. રિતુ તાવડેએ ત્યાર બાદ રાજાવાડી હૉસ્પિટલમાં જઈને ઘાયલોની ખબર પૂછી હતી. આ બાબતે માહિતી લઈને તેમણે કહ્યું હતું કે ‘બાંધકામની સાઇટ પર બહુ જ બેદરકારી જણાઈ આવી હતી જે હવે ચલાવી નહીં લેવાય. કાયદા મુજબ મજૂરોએ સુરક્ષાનાં બધાં જ સાધનો વાપરવાં જરૂરી છે. એ સાથે જ સાઇટ પર એન્જિનિયરની દોરવણી હેઠળ કામ થવું જરૂરી છે. જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે એન્જિનિયર ક્યાં હતો? આ બધી બાબતોની તપાસ થવી પણ જરૂરી છે. જવાબદાર ડેવલપર અને કૉન્ટ્રૅક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમ જ તેમની સામે સદોષ મનુષ્યવધનો ગુનો પણ દાખલ કરવામાં આવે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એ માટે BMC અને મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA-મ્હાડા)એ કાળજી લેવી પડશે.’