11 November, 2020 09:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ ફોટો
ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડને ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માં વિજય મેળવ્યો છે. બાઈડનનો આખો કુટુંબ અમેરિકામાં જ રહે છે પણ તેમના કેટલાક સંબંધીઓ ભારતમાં પણ રહેતા હોવાનું સામે આવ્યું છે. સાથે જ બાઈડન જે વ્યક્તિને 1972થી શોધી રહ્યાં તે શોધ પણ પુરી થાય તેવી શક્યતા છે.
નાગપુરમાં રહેતા કેટલાક લોકોએ દાવો કર્યો છે કે, તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બનનાર જો બાઈડનના સંબંધીઓ છે. તેઓ છેક 1873થી તેઓ આ શહેરમાં રહે છે. વર્ષ 2013માં જ્યારે બાઈડન ઉપરાષ્ટ્રપતિ હતા અને ભારત આવ્યા હતા ત્યારે તેમણે મુંબઈના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, તેના દૂરના કેટલાક સંબંધીઓ મુંબઈમાં રહે છે.
જો બાઈડનનો આખો પરિવાર ભલે અમેરિકામાં રહેતો હોય પણ નાગપુરમાં રહેતા કેટલાક લોકોએ દાવો કર્યો છે કે, અમે જો બાઈડેન સાથે સગપણ ધરાવીએ છીએ. 1972માં આ પત્ર બાઈડેનને જે તે વખતે આ પરિવારે જ લખ્યો હતો અને આ પરિવારની અટક પણ બાઈડેન જ છે. પત્ર લખનાર લેસ્લી બાઈડેનના પૌત્ર નાગપુરમાં રહે છે અને તેમનુ કહેવુ છે કે, અમે 1873થી નાગપુરમાં રહીએ છે. લેસ્લી બાઈડેનના પૌત્રી સોનિયા બાઈડેન ફ્રાંસિસે એક વાતચીતમાં કહ્યું હતું કે, મારા દાદીએ 15 એપ્રિલ, 1981માં જો બાઈડનને એક પત્ર લખીને સંપર્ક કર્યો હતો અને જો બાઈડેને વળતા પત્રમાં પોતાની વંશાવલી અંગે ચર્ચા પણ કરી હતી.
સોનિયાના મોટા ભાઈ ઈયાન બાઈડેન પણ નાગપુરમાં રહે છે અને તેઓ મર્ચન્ટ નેવીના પૂર્વ અધિકારી છે. તેમનું કહેવું છે કે, જો બાઈડેનના પૂર્વજ જોન બાઈડેન અને તેમના પત્ની એની બ્યૂમોન્ટ અંગે મારા દાદી અને જો બાઈડન વચ્ચે જે તે સમયે પત્ર વ્યવહારમાં ચર્ચા થઈ હતી. બંનેએ એક બીજાનો આભાર માન્યો હતો. જોકે પત્ર લખનારા લેસ્લી બાઈડનનુ 1983માં નાગપુરમાં નિધન થયુ હતુ.
2013માં જ્યારે બાઈડન મુંબઈ આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે, મને 1972માં સેનેટર બન્યા બાદ ભારતમાંથી એક પત્ર મળ્યો હતો અને તેમાં મને કહેવામાં આવ્યું હતું કે, મારા પરદાદા ભારતમાં રહીને ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે કામ કરતા હતા.