26 August, 2020 12:51 PM IST | Washington | Gujarati Mid-day Online Correspondent
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
આમ તો અમેરિકા ભારત સાથે દોસ્તીનો દાવો કરે છે. પરંતુ બીજી બાજુ એક આંચકાજનક નિર્ણય લઈને અમેરિકાના નાગરિકોને ભારતની યાત્રા ન કરવાની સલાહ આપી છે. અમેરિકાએ આ એડવાઇઝરી માટે સ્પષ્ટ કારણ નથી જણાવ્યું પરંતુ આ પ્રકારની સલાહ માત્ર આતંકવાદ, ગૃહયુદ્ધ, સંગઠિત અપરાધ અને મહામારી જેવા કારણોને ધ્યાને લઈને જ આપવામાં આવે છે. અમેરિકાએ ભારતના પ્રવાસ માટે રેટિંગ 4 નિર્ધારિત કર્યું છે, જેને સૌથી ખરાબ માનવામાં આવે છે. આ રેટિંગમાં અમેરિકાએ યુદ્ધગ્રસ્ત સીરિયા, આતંકવાદના કેન્દ્ર પાકિસ્તાન, ઈરાન, ઈરાક અને યમન જેવા દેશોને રાખ્યા છે.
અમેરિકાએ કહ્યું કે, ભારતમાં કોરોના સંકટ છે. આ સિવાય દેશમાં અપરાધ અને આતંકવાદમાં તેજી આવી છે. તેથી અમેરિકી નાગરિક ભારતની યાત્રા ન કરે. અમેરિકાએ પોતાની એડવાઈઝરીના કેટલાક અન્ય કારણોમાં મહિલાઓ વિરૂદ્ધ અપરાધ અને ઉગ્રવાદને પણ કારણ જણાવ્યુ છે. ઈન્ડિયન ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી સંઘ (FAITH)એ ભારત સરકારને અરજી કરી છે કે તે અમેરિકા સરકાર પાસેથી ટ્રાવેલ એડવાઈઝરીને બદલવા માટે દબાણ કરે.
FAITHનું કહેવું છે કે, સરકાર તેને પ્રાથમિકતાના આધાર પર ઉઠાવે જેથી દેશ વિશે ઊભી થઈ રહેલી નકારાત્મક છબિને રોકી શકાય. સંગઠને કહ્યું કે, હાલમાં પર્યટન ઉદ્યોગ કોરોના મહામારીના કારણે ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં ભારતમાં આ ઉદ્યોગ ફરીથી આપ-મેળે બેઠો થવાનો પ્રયાસ કરી રહ્યો છે. 23 ઓગસ્ટે જાહેર આ ટ્રાવેલ એડવાઇઝરીમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, સીરિયા, યમન, ઈરાન અને ઈરાક જેવા હિંસા પ્રભાવિત દેશો પણ સામેલ કરવામાં આવ્યા છે. સંગઠન મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના સંબંધો આટલા સારા હોવા છતાંય આ પ્રકારના પગલાં સમજથી બહાર છે.