11 March, 2020 11:22 AM IST | Tehran
પ્રતીકાત્મક તસવીર
આલ્કોહૉલ પીવાથી કોરોના વાઇરસને માત આપી શકાય છે એવા ભ્રમિત કરતા સમાચારોને પગલે ઈરાનમાં આલ્કોહૉલના ઝેરથી મરનારાઓની સંખ્યા ગઈ કાલે ૪૪ પર પહોંચી હતી. કોરોના વાઇરસના ઉદ્ગમ સ્થાન ચાઇના પછી કોરોના વાઇરસનો સૌથી વધુ પ્રકોપ ઈરાનના ઇસ્લામિક રિપબ્લિકમાં જોવા મળી રહ્યો છે.
ઈરાનના સાઉથ વેસ્ટર્ન રાજ્ય ખુઝેસ્તાનમાં સૌથી વધુ ૧૬ મૃત્યુ નોંધાતાં આ રાજ્યનો મૃત્યુ આંક ૧૮થી વધીને ૩૬ પર પહોંચ્યો છે. આલ્કોહૉલનું સેવન કોરોના વાઇરસને અસરકારક રીતે ડામવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે એવી અફવાને પગલે આ રાજ્યના લોકોએ આલ્કોહૉલ પીતાં તેના ઝેરને કારણે તેમનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત ઉત્તરીય રાજ્ય અલ્બોર્ઝમાં સાત અને કેરમાનશાહમાં એક એમ આઠ વ્યક્તિનું આલ્કોહૉલના સેવનથી મૃત્યુ થયું હતું.
ઈરાનમાં કેટલાક બીન-મુસ્લિમ માઇનોરિટીઝને બાદ કરતાં અન્યો માટે આલ્કોહૉલના સેવન પર પ્રતિબંધ છે. તેમ છતાં. ઈરાનની મીડિયામાં આલ્કોહૉલના સેવનથી ઝેર ચડ્યાના જીવલેણ કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહેતા હોય છે. ઈરાનનાં ૩૧ રાજ્યોમાં કોવિન-૧૯ પ્રસરી ચૂક્યો છે અને અત્યાર સુધીમાં ૨૯૦ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે કે ૮૦૦૦ કરતાં વધુ લોકો કોરોના વાઇરસથી ગ્રસ્ત છે.