વડા પ્રધાનને મળ્યું ૩૧મું આંતરરાષ્ટ્રીય સન્માન- આ અવૉર્ડનું મહત્ત્વ જાણો છો?

18 May, 2026 08:11 AM IST  |  Netherlands | Gujarati Mid-day Correspondent

આજે નરેન્દ્ર મોદી સ્વીડનમાં રહેશે અને સાંજે નૉર્વે જવા નીકળી જશે. એ પછી તેઓ ઇટલી જશે અને ત્યાંથી છ દિવસની વિદેશયાત્રા પૂરી કરીને ૨૦ મેએ ભારત પાછા ફરશે. 

નરેન્દ્ર મોદીને સન્માનથી નવાજી રહેલાં સ્વીડનનાં રાજકુમારી વિક્ટોરિયા.

નેધરલૅન્ડ્સમાં મહત્ત્વની ટેક્નૉલૉજીના કરાર કર્યા પછી નરેન્દ્ર મોદી ગઈ કાલે ૮ વર્ષ પછી  સ્વીડન પહોંચ્યા હતા. છેલ્લે ૨૦૧૮માં તેઓ સ્વીડન ગયા હતા. નરેન્દ્ર મોદીનું વિમાન જેવું સ્વીડનની સીમામાં પહોંચ્યું એટલે સ્વીડિશ ફાઇટર જેટ્સે એસ્કોર્ટ કરીને સુરક્ષા આપી હતી. આ ઘટનાનો વિડિયો પણ સામે આવ્યો છે. ગોથેનબર્ગ ઍરપોર્ટ પર સ્વીડનના વડા પ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસન નરેન્દ્ર મોદીસે રિસીવ કરવા પહોંચ્યા હતા અને મિલિટરી બૅન્ડે તેમનું મિલિટરી મ્યુઝિકથી સ્વાગત કર્યું હતું. હોટેલ પર પહોંચતાં જ તેમનું ભારતીય મૂળની મહિલાઓએ બંગાળી સ્ટાઇલમાં આરતી ઉતારીને સ્વાગત કર્યું હતું. 

નરેન્દ્ર મોદીને સ્વીડનનું અત્યંત પ્રતિષ્ઠિત અને ઐતિહાસિક સન્માન ‘રૉયલ ઑર્ડર ઑફ પોલર સ્ટાર’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વીડનનાં રાજકુમારી વિક્ટોરિયાએ વડા પ્રધાનને આ સન્માનથી નવાજ્યા હતા. આ સન્માનની સાથે નરેન્દ્ર મોદીને એક ખૂબ જ ખાસ અને ઐતિહાસિક ગિફ્ટ-બૉક્સ પણ આપવામાં આવ્યું હતું. એમાં ભારતના મહાન કવિ અને નોબેલ પુરસ્કારવિજેતા રવીન્દ્રનાથ ટાગોરનાં બે હસ્તલિખિત કાર્ડ્સની હૂબહૂ પ્રત હતી જે ભારત-સ્વીડનના જૂના સાંસ્કૃતિક સંબંધોને દર્શાવે છે. નરેન્દ્ર મોદીને મળેલું આ ૩૧મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. આ પુરસ્કાર કોઈ પણ સરકારના પ્રમુખને આપનારું સૌથી માટું સન્માન ગણાય છે.

આજે નરેન્દ્ર મોદી સ્વીડનમાં રહેશે અને સાંજે નૉર્વે જવા નીકળી જશે. એ પછી તેઓ ઇટલી જશે અને ત્યાંથી છ દિવસની વિદેશયાત્રા પૂરી કરીને ૨૦ મેએ ભારત પાછા ફરશે. 

અવૉર્ડનું મહત્ત્વ શું?
‘રૉયલ ઑર્ડર ઑફ પોલર સ્ટાર’ અવૉર્ડની સ્થાપના ૧૭૪૮માં શરૂ કરવામાં આવી હતી. આ સન્માન સ્વીડિશ હિતો માટે કરવામાં આવેલાં વિશેષ કાર્યો, સાર્વજનિક ‌હિતોમાં યોગદાન અને સરકારી જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવવા બદલ આપવામાં આવે છે.

ભારત-નેધરલૅન્ડ્સ વચ્ચે સેમિકન્ડક્ટરનો ઐતિહાસિક કરાર, ગુજરાતના ધોલેરામાં બનશે ઇનોવેટિવ પ્લાન્ટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દેશોની યાત્રાના બીજા પડાવ નેધરલૅન્ડ્સમાં ગઈ કાલે હતા. અહીં તેમણે ભવિષ્યની ટેક્નૉલૉજીને લઈને મોટી ડીલ સાઇન કરી હતી. ભારત-નેધરલૅન્ડ્સ વચ્ચે સેમીકન્ડક્ટર મૅન્યુફૅક્ચરિંગ ઇકોસિસ્ટમને બહેતર બનાવવા માટેના કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ કરાર ભારતના તાતા ગ્રુપ અને નેધરલૅન્ડ્સના ASML વચ્ચે થયો છે. નરેન્દ્ર મોદીએ આ કરાર પછી કહ્યું હતું કે ‘ભારત અને નેધરલૅન્ડ્સ વચ્ચે મજબૂત સ્ટ્રૅટેજિક ભાગીદારી બન્ને દેશોના ટ્રેડ સંબંધોને નવી પ્રેરણા આપે છે. મને પૂરો વિશ્વાસ છે કે નેધરલૅન્ડ્સ હવે ભારતમાં કામનો સ્કોપ, ઇન્વેસ્ટમેન્ટ અને મહત્ત્વાકાંક્ષાઓને વધારશે અને એની સાથે આખા યુરોપની ઇનોવેટિવ ઇકોસિસ્ટમ પણ ભારત આવશે. નેધરલૅન્ડ્સના વડા પ્રધાન રૉબ જેટેન અને હું ભારતમાં સેમિકન્ડક્ટર પ્રોડક્શન ઇકોસિસ્ટમને આગળ વધારવાના તાતા ગ્રુપ અને ASML વચ્ચે થયેલા કરાર પર હસ્તાક્ષર થયા એ ઘટનાના સાક્ષી બન્યા. ASML ગુજરાતના ધોલેરામાં સ્થાપિત થનારી તાતા ઇલેક્ટ્રૉનિક્સની નવી સેમિકન્ડક્ટર ફૅક્ટરીની સ્થાપના અને વિસ્તારમાં સહયોગ કરશે.’

international news world news narendra modi netherlands indian government sweden gujarat