દરિયાના પેટાળના જ્વાળામુખી અને ત્સુનામીથી દેશમાં પથરાઇ ગઇ ઝેરી રાખની ચાદર

20 January, 2022 12:23 PM IST  |  Tonga | Gujarati Mid-day Online Correspondent

દરિયાના પેટાળમાં ફાટેલા આ જ્વાળામુખીને કારણે ટોંગાની હાલત એવી હતી કે પાંચ દિવસ સુધી તે બીજા કોઇની સાથે સંપર્ક કરી શકે તેમ પણ નહોતા. ટોંગાના બહારની દુનિયા સાથે બધા જ સંપર્કો ખતમ થઇ ગયા હતા

તસવીર સૌજન્ય એએફપી

પોલિનેશિયન દેશના ટોંગા (Tonga) આઇલેન્ડમાં ટોંગા હુંગા હાપાઇ જ્વાળામુખી ફાટવાની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. સમુદ્રની અંદર જે જ્વાળામુખી ફાટ્યો (Volcano Eruption) તે એટલો શક્તિશાળી હતો કે તેની રાખ 20 કિલોમીટર દૂર આકાશમાં પહોંચી ગઈ. વિસ્ફોટ પછી ટોંગામાં રાખ અને પથ્થરોનો વરસાદ થયો. આ ભયાનક દ્રશ્યનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. આ રાખ પીવાના પાણીને પ્રદૂષિત કરી રહી છે. આનાથી પાણી ઝેરી બની શકે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તાજા સમાચાર અનુસાર દરિયાના પેટાળમાં ફાટેલા આ જ્વાળામુખીને કારણે ટોંગાની હાલત એવી હતી કે પાંચ દિવસ સુધી તે બીજા કોઇની સાથે સંપર્ક કરી શકે તેમ પણ નહોતા. ટોંગાના બહારની દુનિયા સાથે બધા જ સંપર્કો ખતમ થઇ ગયા હતા અને પુરેપુરી કનેક્ટિવીટી અહીં પાછી આવે તેમાં મહિનો લાગી શકે તેમ છે.

જ્વાળામુખી ફાટ્યા પછી આખો ટાપુ રાખની ચાદરથી ઢંકાઈ ગયો. રાખ એટલા પ્રમાણમાં પથરાઇ કે એરપોર્ટ રનવે પર એર ક્રાફ્ટ્સ પણ ઉતરી ન શક્યા. દરિયામાં ફાટેલા જ્વાળામુખી અને સુનામીની ઝપાટામાં આવેલા ટોંગામા રાહત સામગ્રી મોકલવાનું પણ મુશ્કેલ હતું. એર ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડે અહીં કેટલું નુકસાન થયું છે તે સમજવા માટે સર્વેલન્સ એરક્રાફ્ટ મોકલ્યા છે. ઓસ્ટ્રેલિયામાં ટોંગાના ડેપ્યુટી મિશન ચીફ કર્ટિસ તુઈહાલાન્ઝીનું કહેવું છે કે અહીં જ્વાળામુખીની રાખ ચિંતાનો વિષય છે. જેના કારણે પીવાનું પાણી પણ પ્રદૂષિત થઈ રહ્યું છે. તેનાથી પણ વધુ હેરાન કરનારી વાત એ છે કે આ રાખ કેટલી હદે ઝેરી છે, અહીંના મોટાભાગના લોકોને તેની ખબર પણ નથી.

તુઈહાલનજીંજી કહે છે કે, અહીં રાખની ગંધ પણ હાનિકારક છે, તેથી લોકોએ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. જ્વાળામુખીની રાખ કેટલી હદે ખતરનાક છે તે અંગે નેશનલ જિયોગ્રાફિકનો રિપોર્ટ કહે છે કે જ્વાળામુખી ફાટ્યા બાદ તેની રાખ લાંબા અંતર સુધી ઉડે છે. વિસ્ફોટ એટલો ઝડપી છે કે આસપાસના વિસ્તારની દરેક વસ્તુ રાખમાં રંગાયેલી જોવા મળે છે. આ રાખ દૂર કરવી અને આખા ટાપુની સફાઈ કરવી એ કપરું કામ છે. આ માટે મોટી સંખ્યામાં મજૂરોની જરૂર છે.

નેશનલ જિયોગ્રાફિકના રિપોર્ટ અનુસાર, આ રાખ આંખો અને નાકમાં બળતરા પેદા કરી શકે છે. આ સિવાય તે ફેફસાંને નુકસાન પહોંચાડે છે અને શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે. આટલું જ નહીં, આ રાખનું એક જાડું થર એ વિસ્તારમાં જે રીતે વિસ્તારમાં પથરાયેલું છે તે જોતાં પ્રાણીઓને ખોરાક શોધવો પણ મુશ્કેલ બનશે.

એક રિપોર્ટ મુજબ, રેડ ક્રોસે આ વિસ્ફોટને સૌથી ખરાબ વિસ્ફોટ તરીકે ગણાવ્યો અને હાલમાં તે ત્યાં રાહત અને સહાય માટે રેડકોર્સનું નેટવર્ક સક્રિય કરી રહ્યું છે. પેસિફિક મહાસાગર ક્ષેત્રમાં સંસ્થાના વડા કેટી ગ્રીનવુડે જણાવ્યું હતું કે સુનામીથી લગભગ 80,000 લોકો પ્રભાવિત થયા છે.

international news