11 March, 2020 11:22 AM IST | New Delhi
ઈરાનથી ભારત ઍરલિફ્ટ કરાયેલા ભારતીય નાગરિકોનું હિન્ડન ઍરપોર્ટ પર સ્ક્રીનિંગ કરાયું હતું. તસવીર : (પી.ટી.આઇ.)
ઈરાનમાંથી ઍરલિફ્ટ કરાયેલા ભારતીયો ગઈ કાલે સવારે ભારત પહોંચ્યા હતા અને તેમને ૧૪ દિવસ માટે ગાઝિયાબાદના હિન્ડન ઍરબેઝમાં આઇસોલેશન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. ઈરાનથી આવેલા ભારતીય નાગરિકોમાં ૨૬ પુરુષો, ૩૧ મહિલાઓ અને બે બાળકો છે. ઍરક્રાફ્ટમાં તપાસ માટે ૫૨૯ સૅમ્પલ્સ પણ લાવવામાં આવ્યાં છે. આ સંપૂર્ણ ઑપરેશનમાં ઇન્ડિયન ઍરફોર્સના ૧૭ કર્મચારીઓ હતા જેમાંથી ૪ મેડિકલ સ્ટાફના કર્મચારીઓ હતા.
આ પણ વાંચો : ઈરાનમાં દારૂના સેવનથી 44 વ્યક્તિનાં મૃત્યુ
૧૪ દિવસ પછી ઈરાનમાં યાત્રાપ્રવાસે ગયેલા આ ભારતીયોને તેમના ઘરે પાછા મોકલવામાં આવશે ત્યાં સુધી આ તમામ ભારતીયો ડૉક્ટરની દેખરેખ હેઠળ રહેશે. ઈરાનથી પરત આવેલા ભારતીયોમાં ૭૯ વર્ષના વૃદ્ધનો પણ સમાવેશ થાય છે. ઈરાનથી પરત આવેલા ભારતીયો સાથે તેમને બચાવવા ગયેલા ઇન્ડિયન ઍરફોર્સના ૧૭ ક્રૂ-મેમ્બર્સને પણ ૨૮ દિવસ માટે આઇસોલેશન કૅમ્પમાં રાખવામાં આવશે.