03 February, 2026 09:39 PM IST | Melbourne | Gujarati Mid-day Online Correspondent
મહાત્મા ગાંધીની પ્રતિમા ચોરાઈ ગઈ
ઑસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં મહાત્મા ગાંધીની કાંસ્ય પ્રતિમા (Bronze Idol) ચોરાઈ ગઈ હોવાનો કિસ્સો જોવા મળ્યો છે. ઑસ્ટ્રેલિયન ઇન્ડિયન કમ્યુનિટી સેન્ટરની બહાર સ્થાપિત અને ઇન્ડિયન કાઉન્સિલ ફૉર કલ્ચરલ રિલેશન્સ (ICCR) દ્વારા ભેટમાં આપવામાં આવેલી આ પ્રતિમાનું ઉદ્ઘાટન 12 નવેમ્બર, 2021ના રોજ તત્કાલીન વડા પ્રધાન સ્કૉટ મોરિસન દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે, તેના ઉદ્ઘાટનના થોડા સમય પછી, અજાણ્યા વ્યક્તિઓ દ્વારા તેની તોડફોડ પણ કરવામાં આવી હતી. આ ઘટનાનો હવે વિરોધ થઈ રહ્યો છે.
ઑસ્ટ્રેલિયા ટુડેના અહેવાલ મુજબ, આ ચોરીની ઘટના સોમવારે રાત્રે આશરે 12:50 વાગ્યે બની હોઈ શકે છે. મેલબોર્ન પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણ ગુનેગારોએ મહાત્મા ગાંધીની 426 કિલોગ્રામની કાંસ્ય પ્રતિમાને તેના પગથી કાપી નાખવા માટે એંગલ ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો હતો. સોશિયલ મીડિયા પર શૅર કરાયેલા ફોટામાં પ્રતિમા પગની ઘૂંટીઓથી કપાયેલી જોવા મળી હતી, ફક્ત પગ બાકી હતા.
વિક્ટોરિયા પોલીસ નોક્સ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન યુનિટના અધિકારીઓ આ કેસની તપાસ કરી રહ્યા છે. પોલીસે શહેરના સ્ક્રૅપ મૅટલ ડીલરોને ચેતવણી આપી છે કે કાંસ્ય પ્રતિમા વેચવાનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિ પર નજર રાખે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક જાણ કરે. ચોરોની હજી સુધી ઓળખ થઈ નથી. પોલીસે આ કેસની તપાસ માટે એક ખાસ ટીમ બનાવી છે.
ઑસ્ટ્રેલિયન ઇન્ડિયન કોમ્યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય સંતોષ કુમારે આ ઘટના પર આક્રોશ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, "રાષ્ટ્રીય નેતાની પ્રતિમા ચોરાઈ ગઈ તે જોઈને અમને દુઃખ થયું છે. સીસીટીવી ફૂટેજમાં સફેદ વૅનમાં આવેલા લોકોએ તેમના ચહેરાને કળા કપડાંથી ઢાંકેલું હોવાનું જોવા મળ્યું અને હવે તેની પોલીસને જાણ કરવામાં આવી છે."
કેરલામાં મહાત્મા ગાંધીની એક મૂર્તિએ ભારે ચર્ચા જગાવી છે. સ્થાનિક લોકોએ ફરિયાદ કરી છે કે ખૂબ વિચિત્ર લાગતી બાપુની મૂર્તિ તો દેશની આઝાદી માટે લડનારી સૌથી આદરણીય વ્યક્તિ જેવી દેખાતી જ નથી. ગયા રવિવારે કેરલાના થ્રિસૂર જિલ્લામાં આવેલી ગુરુવાયુર મ્યુનિસિપાલિટીના બાયો પાર્કમાં બાપુની આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમામાં બાપુના ટ્રેડમાર્ક ચશ્માં અને ચાલવાની લાકડી સિવાય બીજી કોઈ જ બાબત ગાંધીજી જેવી ન દેખાતાં લોકો મૂંઝવણમાં મુકાયા હતા. એટલું જ નહીં, સોશ્યલ મીડિયા પર મૂર્તિનો ફોટો વાઇરલ થતાં ઑનલાઇન પણ લોકોએ ખૂબ ટીકા કરી હતી. અહેવાલો પ્રમાણે મ્યુનિસિપાલિટીના અધિકારી અને પ્રતિમાના આર્ટિસ્ટે આ સ્ટૅચ્યુની વિચિત્રતાનો એમ કહીને બચાવ કર્યો હતો કે આ પ્રતિમા તૈયાર કરવા માટે ગાંધીજીના વિચારોનો સહારો લેવામાં આવ્યો હતો. ઉપરાંત આખું સ્ટૅચ્યુ ઍબ્સ્ટ્રૅક્ટ ફૉર્મમાં છે. જોકે કૉંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોએ આ બાબતનો વિરોધ કર્યો હતો અને કલેક્ટર પાસે એવી માગણી કરી હતી કે ગાંધીજીનું અપમાન કરવા માટે મ્યુનિસિપાલિટી સામે કડક કાર્યવાહી કરવામાં આવે.