26 April, 2025 10:30 AM IST | Jerusalem | Gujarati Mid-day Correspondent
રુવેન અઝર સાથે ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકર
પહલગામ હુમલાના થોડા દિવસ પહેલાં હમાસના નેતાઓએ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરની મુલાકાત લીધી હતી એવો દાવો ભારતમાં ઇઝરાયલના રાજદૂત રુવેન અઝરે કર્યો હતો. તેમણે પહલગામ હુમલાને ઇઝરાયલમાં ૨૦૨૩ની ૭ ઑક્ટોબરે કરવામાં આવેલા હુમલા સાથે સમાનતા હોવાનું જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે આ આતંકવાદી જૂથો એકબીજાને પ્રેરણા આપી રહ્યાં છે.
એક મુલાકાતમાં રુવેન અઝરે કહ્યું હતું કે પહલગામ હુમલાના થોડા સમય પહેલાં હમાસ નેતાઓએ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરની મુલાકાત લીધી હતી અને તેઓ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ અને કેટલાક અન્ય લોકોને મળ્યા હતા.
પહલગામ અને ઇઝરાયલ પર થયેલા હુમલાની સરખામણી કરતાં રુવેન અઝરે કહ્યું હતું કે ‘બેઉ સ્થળે નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઇઝરાયલમાં લોકો મ્યુઝિક ફેસ્ટિવલ મનાવતા હતા અને કાશ્મીરમાં લોકો વેકેશન મનાવવા આવ્યા હતા. આમ આતંકવાદીઓ એકબીજા સાથે સહયોગ અને એકબીજાની નકલ કરી રહ્યા છે. મને ખાતરી છે કે ગુપ્તચર એજન્સીઓ તેમને હરાવવા હવે સાથે મળીને કામ કરી રહી છે.’