07 July, 2025 09:11 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચીનના વૈજ્ઞાનિકોએ પ્રજનન વિજ્ઞાનમાં એક બહુ મોટી ઉપલબ્ધિ મેળવી છે. તેમણે પહેલી વાર માદાના અંડકોષ વાપર્યા વિના માત્ર બે નર ઉંદરોની મદદથી બચ્ચું પેદા કરવામાં સફળતા મેળવી છે.
શાંઘાઈની જિયાઓ ટૉન્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એન્ડ્રોજેનેસિસની પ્રક્રિયા થકી આ સંભવ બનાવ્યું હતું. આ પ્રક્રિયામાં પહેલાં તેમણે બે શુક્રાણુઓ અને એક માદાનો અંડકોષ લીધો. અંડકોષમાંથી મૂળભૂત કોષ હટાવી દીધા અને પછી એમાં નર ઉંદરના મૂળભૂત કોષ દાખલ કરી દીધા. આ પ્રક્રિયાને એન્ડ્રોજેનેસિસ કહેવાય છે. એ પછી ભ્રૂણને વિકસિત કરવામાં આવે છે.
વૈજ્ઞાનિકોએ ૨૫૯ ભ્રૂણને માદા ઉંદરોમાં ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ એમાંથી માત્ર બે જ બચ્ચાં જીવિત રહી શક્યાં હતાં. આ બન્ને બચ્ચાં મોટાં થઈ ગયાં અને એમણે પણ બચ્ચાં પેદા કરતાં આ એક સાઇકલ સફળ થઈ હતી.
માણસોમાં આવું શક્ય છે?
વૈજ્ઞાનિકોનું માનવું છે કે માણસોમાં આ પ્રકારની ટેક્નિક વાપરવાનું ખૂબ અઘરું અને અસુરક્ષિત છે. એનું કારણ એ છે કે એમાં ખૂબબધા અંડકોષની અને સરોગેટ મધરની જરૂર પડે છે. જો એ પછી પણ માનવબાળ એમાંથી જન્મે તો એમાં માદા ડોનરના પણ થોડા મૂળભૂત કોષો હોવાથી એ ત્રણ લોકોનું બાળક ગણાશે.