19 November, 2020 05:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ ફોટો
પાકિસ્તાનની એન્ટી ટેરરીઝમ કોર્ટે ટેટર ફન્ડિંગ કૅસમાં મુંબઈ બૉમ્બ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઈબા અને જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઈદને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેમ જ કોર્ટે ઝફર ઈકબાલ અને યાહયા મુજાહિદને 10-10 વર્ષની જેલની સજા ફટકારી છે.
અગાઉ FATFના ડરથી હાફિઝ સઈદની ગતિવિધીઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ વર્ષના ફેબ્રુઆરીમાં હાફિઝ સઈદ અને તેના સાગરિતોને 11 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
અગાઉ પાકિસ્તાનની આતંકવાદી વિરોધી કોર્ટે હાફિઝ સઈદના પ્રવક્તાને 32 વર્ષની જેલની સજા ફટકારી હતી. જમાત-ઉદ-દાવાનો આ પ્રવક્તા એક મુજાહિદ હતો. આ સંગઠન સાથે જોડાયેલા બે અન્યોને પણ સજા ફટકારવામાં આવી છે. જેમાં હાફિઝનો ભત્રીજો પ્રોફેસર હાફિઝ અબ્દુલ રહમાન મક્કીનો પણ સમાવેશ છે જેને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે.
તાજેતરમાં ગુજરાંવાલા પોલીસે ટેરર ફન્ડિંગના આરોપમાં હાફિઝ મોહમ્મદ સઈદની ધરપકડ કરી હતી. પૅરિસની નાણાકીય દેખરેખ રાખતી સંસ્થા ફાઇનૅન્શિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની ચેતવણી બાદ આ કાર્યવાહી પાકિસ્તાન દ્વારા કરવામાં આવી હતી. એફએટીએફે કહ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી નહીં કરે તો એને બ્લૅકલિસ્ટમાં સામેલ કરવામાં આવી શકે છે. આવું કરવાનો મતલબ એ કે પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ વૈશ્વિક લડાઈમાં સહયોગ નથી કરી રહ્યું. જો પાકિસ્તાન બ્લૅકલિસ્ટમાં મુકાઈ જાય તો એને આઇએમએફ, વિશ્વબૅન્ક, એડીબી, ઈયુ જેવી વૈશ્વિક સંસ્થાઓ પાસેથી નાણકીય મદદ મળવામાં મુશ્કેલી પડી જશે.