19 May, 2020 11:47 AM IST | Washington | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
કોરોના વાયરસ (COVID-19)ના કહેર વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા દોઢ અઠવાડિયાથી હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા લેતા હોવાનો અંતે તેમણે ખુલાસો કર્યો છે. ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA દ્વારા હૉસ્પિટલની બહાર દવાની સખત મનાઈનો આદેશ હોવા છતા ટ્રમ્પ વાઈટ હાઉસના ડૉક્ટરોની સલાહને લીધે હાઈડ્રોક્સીક્લોરોક્વીન લેવાનું શરૂ કર્યું છે. મહત્વની બાબત એ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે હાઈડ્રોક્સીક્લોરોક્વીનને ભારતની 'સંજીવની' ગણાવી છે અને તેને કોરોના વાયરસના ઉપચાર માટે સચોટ હોવાનું જણાવ્યું છે.
ધ હિલના રીપોર્ટ મુજબ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે આ દવા લેવા માટેની સલાહ વાઈટ હાઉસના ડૉક્ટરો પાસે માંગી હtI અને તેમણે સહમતિ આપી હતી. જો કે તેઓ કોરોના પોઝીટીવ નથી એટલે તેમને આ દવા લેવાની જરૂર નથી. ટ્રમ્પે કહ્યું હતું કે, મે એમને પુછ્યું હતું કે તમારી શું સલાહ છે ત્યારે તેમને જવાબ આપ્યો હતો કે, 'જો તમે ઈચ્છો તો લઈ શકો છો' ત્યારે રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, 'હા, હું આ દવા લેવા માંગુ છું.'
ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ આ દવાનું સેવન લગભગ દોઢ અઠવાડિયાથી કરે છે. સાથે જ તેઓ ઝિંકનું પણ સેવન કરે છે. જો કે FDAએ આ બાબતે ગત મહિને જ લોકોને ચેતાવણી આપી હતી કે, હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાનો ઉપયોગ હૉસ્પિટલની બહાર ન કરવો. ગત મહિને જ ભારતે અમેરિકામાં કોરોનાના દર્દીઓ માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીનની સપ્લાઈ કરવાની અનુમતિ આપી હતી.
FDAએ મલેરિયાના દર્દીઓ માટે વપરાતી હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાની સાઈડ ઈફેક્ટસ જણાવી છે અને કહ્યું છે કે, આ દવાના વધુ પડતા ઉપયોગથી હૃદયની બીમારીઓનું જોખમ વધી જાય છે. સાથે એ પણ જણાવ્યું હતું કે, કોરોના માટે આ દવા સચોટ નથી.