10 October, 2021 10:12 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
જો બાઇડન
વાઇટ હાઉસના પ્રેસ-સેક્રેટરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગ્રીન કાર્ડ ઇશ્યુ કરવાની પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબની સમસ્યાને રાષ્ટ્રપતિ જો બાઇડન ઉકેલવા માગે છે. આને લીધે અમેરિકામાં એચ-વનબી વીઝા પર કામ કરી રહેલા અસંખ્ય ભારતીયોને લાભ થશે.
અમેરિકી સત્તા દ્વારા ગ્રીન કાર્ડ મારફતે પરદેશીઓને અમેરિકામાં કાયમી રહેઠાણની પરવાનગી આપવામાં આવે છે, જ્યારે એચ-વનબી વીઝા મારફતે મોટી કંપનીઓ માટે અન્ય દેશના નિપુણ કર્મચારીઓને અમેરિકામાં રહી કામ કરવાની પરવાનગી આપવામાં આવે છે, જેમાં ભારત અને ચીનના કર્મચારીઓ સૌથી વધુ છે. જોકે ૮૦,૦૦૦ જેટલા ગ્રીન કાર્ડ નંબરો વપરાયા વગર વેડફાઈ ગયા હોવાના અહેવાલ અંગેના સવાલ સામે શુક્રવારે વાઇટ હાઉસના પ્રતિનિધિએ રાષ્ટ્રપતિ આ સમસ્યાનો ઉકેલ લાવવા માગતા હોવાનું જણાવ્યું હતું.
અમેરિકામાં કામ કરતા ભારતના આઇટી પ્રોફેશનલ્સ અત્યારની પ્રતિરાષ્ટ્ર ૭ ટકાની ઇમિગ્રેશન નીતિને લીધે ભારે હાલાકી વેઠી રહ્યા છે. અત્યંત કુશળ આઇટી પ્રોફેશનલ્સ તરીકે હજારો ભારતીયો અમેરિકામાં એચ-વનબી વર્કવીઝા પર કામ કરી રહ્યા છે. ગ્રીન કાર્ડ માટે તેમણે વરસો અને ઘણી વાર તો દાયકાઓ સુધી રાહ જોવી પડે છે.