02 May, 2020 06:11 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના મૃત્યુના સમાચારોએ કેટલાક દિવસો પહેલા બહુ જોર પકડયું હતું. 15 એપ્રિલથી કિમ સાથે જોડાયેલી ઘણી સેટેલાઈટ તસવીરો અને રિપોર્ટ સામે આવ્યા હતા. તેમના મોત થવાથી માંડી તેમની કાર્ડિયોવેસ્કુલર સર્જરી થવા સુધીનો દાવો કરવામાં આવ્યો હતો. બ્રેન ડેડ થયા બાદ મૃત્યુની અટકળોએ પણ જોર પકડયું હતું. આ બધી અટકળો વચ્ચે શુક્રવારે તેઓ જાહેરમાં આવ્યા હતા. ઉત્તર કોરિયાની સરકારી ન્યૂઝ એજન્સીએ આ બાબતની પુષ્ટિ કરતા જાણકારી આપી હતી કે, કિમ 20 દિવસ બાદ જાહેરમાં જોવા મળ્યાં છે.
કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ આપેલી માહિતિ મુજબ, રાજધાની પ્યોંગયાંગની નજીક આવેલા સુનચિઓનમાં એક ફર્ટિલાઈઝર ફેક્ટરીના ઉદ્ઘાટન કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યાં હતા. સાથે બહેન કિમ યો જોંગ પણ હતી.
જુદા જુદા અહેવાલો પ્રમાણે 12 એપ્રિલે કિમની કાર્ડિયોવેસ્કુલર સર્જરી થઈ હતી. પછી તેમનું બ્રેઈન ડેડ થઈ જવાને કારણે મૃત્યુ થયું હતું. તેમાન વિશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કિમ કોરોનાને ધ્યાનમાં રાખતા સોશ્યલ ડિસ્ટેસીંગનું પાલન કરી રહ્યા છે. ઉત્તર કોરિયા તરફથી અત્યાર સુધી દેશમાં સંક્રમણની માહિતી આપવામાં આવી નથી. જો કે, ચીનની મેડિકલ ટીમ અને દક્ષિણ કોરિયાનો દાવો છે કે અહીંયા કોરોનાનું સંક્રમણ પહોંચી ગયું છે. કીમનો એક બોર્ડીગાર્ડ સંક્રમિત છે. ત્યારબાદ તે સેલ્ફ ક્વૉરન્ટીન થઈ ગયા છે. બીજી એક ખાનગી ન્યૂઝ એજન્સીએ દાવો કર્યો છે કે, ઉત્તર કોરિયામાં 11 એપ્રિલથી સોશ્યલ ડિસટન્સિંગનો આદેશ આપવામાં આવ્યો છે જેમાં ત્રણ લોકોને એક સાથે ભેગા થવા પર પ્રતિબંધ લગાવ્યો છે.