17 July, 2019 01:09 PM IST | લાહોર
File Photo
પાકિસ્તાનમાં રહેતા અને મુંબઈમાં 26/11 હુમલાના આરોપી હાફિઝ સઈદની ધરપકડ કરવામાં આવી છે.પંજાબના કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટે હાફિઝ સઈદની લાહોરમાંથી ધરપકડ કરી છે. ધરપકડ કરાઈ ત્યારે તે લાહોરથી ગુજરાનવાલા જઈ રહ્યો હતો. ધરપકડ બાદ હાફિઝ સઈદને જ્યુડિશિયલ રિમાન્ડ પર મોકલી દેવાયો છે. આ દરમિયાન હાફિઝ સઈદે કહ્યું કે હું મારી ધરપકડ વિરુદ્ધ કોર્ટમાં અરજી કરીશ.
આ પહેલા સોમવારે લાહોરની આતંકવાદ વિરોધી અદલાતે મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ અને જમાત ઉદ દાવાના પ્રમુખ આતંકી લીડર હાફિઝ સઈદ અને અન્ય ત્રણ આતંકીઓને જામીન આપ્યા હતા. ડૉન ન્યૂઝના કહેવા પ્રમાણે આ નિર્ણય મદ્રેસાનો ગેરકાયદેસરના કામોમાં ઉપયોગ કરવા માટેના એક કેસનો હતો.
રિપોર્ટ પ્રમાણે હાફિઝ સઈદ ઉપરાંત હાફિઝ મસૂદ, આમેર હમજા અને મલિક ઝફરને 31 ઓગસ્ટ સુધી 50 હજારના બોન્ડ પર વચગાળાના જામીન અપાયા હતા. સુનાવણી દરમિયાન આરોપીના વકીલે અદાલતમાં જામીન અરજી કરતા કહ્યું હતું કે જમાત ઉદ દાવા કોઈ જમીનનો ગેરકાયદે ઉપયોગ નથી કરી રહી.
આ દરમિયાન લાહોર હાઈકોર્ટે કેન્દ્ર સરકાર, પંજાબ સરકાર અને કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટમાં સઈદ અને તેના સાત સહયોગીઓ તરફથી થયેલી અરજી મામલે નોટિસ ફટકારી હતી.