25 September, 2019 11:52 AM IST | ન્યુ યૉર્ક
નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએનના હેડ-ક્વૉર્ટરમાં આતંકવાદીઓને વ્યુહાત્મક જવાબ અને હિંસક ઉગ્રવાદની વાત પર વૈશ્વિક નેતાઓના સંવાદમાં ચીન તરફ ઈશારો કર્યો હતો. વડા પ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આતંકવાદીઓને ફંડિંગ તેમ જ હથિયારો પૂરાં પાડવાં જોઈએ નહીં. આ હેતુને ખરેખર ધ્યાનમાં લેવા માટે આપણે યુએન લિસ્ટિંગ અને ફાઈનાન્શ્યલ એક્શન ટાસ્ટ ફોર્સ (એફએટીએફ) જેવા માધ્યમોનું રાજકીયકરણ કરવાનું ટાળવું જોઈએ. વાસ્તવમાં આ પ્રક્રિયાઓ લાગુ થવી જોઈએ.
એફએટીએફ દ્વારા નિયત કરાયેલા ધોરણોનું પાલન કરવામાં પાકિસ્તાન નિષ્ફળ નિવડ્યું છે. આતંકીઓને ફન્ડિંગ પર બ્રેક લગાવવા પાકે. કોઈ જ કડક પગલાં નથી લીધા. ઑગસ્ટમાં એફએટીએફે પાક.ને ગ્રે લિસ્ટમાં મૂક્યું હતું. ઑક્ટોબરમાં પ્લેનરીમાં એફએટીએફ પાક.ને ગ્રે લિસ્ટમાં યથાવત્ રાખવું કે ડાઉનગ્રેડ કરીને બ્લૅક લિસ્ટ કરવું તે અંગે નિર્ણય કરશે. એફએટીએફના બ્લૅક લિસ્ટમાં આવતા દેશો પર આકરા નાણાકીય પ્રતિબંધો મૂકવામાં આવે છે.
વડા પ્રધાને આતંકવાદ વિરુદ્ધ વૈશ્વિક શક્તિઓને એક થવા આહવાન કર્યું હતું અને જળવાયુ પરિવર્તનની જેમ આતંકવાદ સામે પણ તમામ દેશોએ એક થવા હાકલ કરી હતી. વડા પ્રધાને જણાવ્યું કે દુનિયાના કોઈ પણ ભાગમાં આતંકવાદી હુમલો થાય છે તો તેને આતંકવાદી કૃત્ય જ ગણવું જોઈએ. તે સારું છે કે ખરાબ તેવું ન જોવું જોઈએ.
આ પણ વાંચો : Global Goalkeeper Award: સ્વચ્છતા અભિયાન માટે PM મોદીને મળ્યો અવોર્ડ
વડા પ્રધાનના મતે આતંકવાદીઓને હથિયારો કે ફન્ડિંગ પૂરાં પાડવાં જોઈએ નહીં એમ વિદેશ મંત્રાલયના સચિવ ગિતેશ શર્માએ જણાવ્યું હતું. આ ઉપરાંત પીએમે કહ્યું હતું કે દ્વિપક્ષીય અને ક્ષેત્રિય સ્તરે સહયોગ અને ઈન્ટેલિજન્સનું આદાનપ્રદાન થઈ રહ્યું છે તેની ગુણવત્તામાં સુધારો થવો જોઈએ.