13 January, 2020 03:12 PM IST | Mumbai Desk
ઈરાન સાથે ભારે તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ થોડા નરમ પડ્યા હોય એવું લાગી રહ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે શનિવારે કહ્યું કે હંમેશાં ઈરાની લોકો સાથે તેઓ ઊભા છે. લોકોની નારાજગી પર તેમની નજર છે, જ્યારે ઈરાનની સરકારે એક વિમાનને તોડી પાડવાનો દાવો કર્યો છે. હાલમાં તહેરાન ઍરપોર્ટ પર એક વિમાનદુર્ઘટના થઈ છે જેમાં ૧૭૬ લોકોનાં મૃત્યુ થયાં છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ટ્વીટમાં લખ્યું કે ઈરાનના બહાદુર, લાંબા સમયથી પીડિત લોકોની સાથે છે. જ્યારથી સત્તા પર આવ્યો છું હું તમારી સાથે છું. મારી સંવેદના તમારી સાથે છે. મારું પ્રશાસન તમારી સાથે ઊભું છે. ટ્રમ્પે લખ્યું કે અમે તમારા વિરોધ પર બારીકીપૂર્વક નજર રાખી રહ્યા છીએ. તમારા સાહસથી અમે પરિચિત છીએ. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફારસીમાં આ જ વાતને ટ્વીટ કરી. ફારસીના ટ્વીટ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું કે આવનારા દિવસોમાં ઈરાન અમેરિકાના ચાર દૂતાવાસો પર હુમલો કરી શકે છે. એક ન્યુઝ એજન્સી સાથે વાતચીત કરતાં ટ્રમ્પે કહ્યું કે ઈરાનમાં સંભવિત હુમલાઓ વિશે પૂછવામાં આવતા સવાલો સામે એટલું જ કહીશ કે કદાચ આ બગદાદના દૂતાવાસ પર હુમલો કરવાનો હતો.