13 February, 2020 04:19 PM IST | Mumbai Desk
લાહોરની આતંકવાદ વિરોધી અદાલતે પાકિસ્તાનના કુખ્યાત આતંકી હાફિઝ સઇદને ૧૦ વર્ષ ૬ મહિના માટે જેલની સજા સંભળાવી છે. આ સાથે તેના પર ૧.૫૦ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આતંકી સંગઠનના ચીફ હાફિઝને ટેરર ફંડિંગના બે કેસમાં દોષી જાહેર કરવામાં આવ્યો છે. તેને ૫ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સઇદ પ્રતિબંધિત જમાત ઉદ દાવાનો નેતા છે.
એક ન્યુઝ પેપરે પોતાના અહેવાલમાં જણાવ્યું કે સઇદ પર ટેરર ફન્ડિંગ, મની લૉન્ડરિંગ, ગેરકાયદે જમીન હડપવા સહિત ૨૯ મામલે કેસ ચાલી રહ્યો છે. ગત ૬ ફેબ્રુઆરીના રોજ તેના વિરુદ્ધ બે કેસમાં ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.
જમાત ઉદ દાવા લીડરશિપને ટેરર ફન્ડિંગ અને મની લૉન્ડરિંગ સંબંધિત બે ડઝનથી વધુ કેસોનો સામનો કરવો પડી રહ્યો છે, જે પાંચ શહેરોમાં નોંધાયેલા છે. સુરક્ષા ચિંતાના કારણે લાહોર એટીસી સમક્ષ તમામ કેસ નોંધવામાં આવ્યા છે. જમાત ઉદ દાવા એનજીઓ તેમ જ અલગ અલગ ટ્રસ્ટ દ્વારા પૈસા ઉઘરાવીને તેનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓને ફન્ડિંગમાં કરતું હતું. મુંબઈમાં
૨૦૦૮-૦૯માં હાફિઝ સઇદે આતંકવાદી હુમલો કરાવ્યો હતો. આ પહેલાં ૨૦૦૧માં ભારતીય સંસદ પર હુમલામાં પણ તેનું ષડયંત્ર હતું. ત્યારબાદ ૨૦૦૬માં મુંબઈની ટ્રેનોમાં આતંકવાદી હુમલા પણ તેણે કરાવ્યા હતા. ભારતને આ રીતે આતંકવાદી પ્રવૃત્તિઓથી લોહીલુહાણ કરવું તેમ જ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન કરવી તે હાફિઝ સઇદનું કામ રહે છે. આતંકવાદી સંગઠન જમાત-ઉદ્-દાવાનો તે ચીફ છે જેને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવ્યો છે. ૨૦૦૮માં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે તેના પર પ્રતિબંધ મૂક્યા છે તેમ જ ૨૦૦૯માં ઇન્ટરપોલે તેના નામે રેડ કૉર્નર નોટિસ પણ જાહેર કરી હતી.