30 October, 2019 01:54 PM IST | ઈસ્લામાબાદ
નવાઝ શરીફ
ઑટો ઇમ્યુન બ્લડ ડિસોર્ડરને કારણે ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના બ્લડ પ્લેટલેટ્સ કાઉન્ટ સાવ ઘટી જતાં પાકિસ્તાનના ઇસ્લામાબાદ વડી અદાલતે એમની સજા મોકૂફ રાખીને આઠ અઠવાડિયાંના જામીન પર છોડ્યા હતા. ન્યાયમૂર્તિ આમીર ફારુક અને ન્યાયમૂર્તિ મોહસિન અખ્તરની બે સભ્યોની પીઠે ગઈ કાલે નવાઝ શરીફને વીસ લાખ રૂપિયાની બે સ્યૉરિટી પર જામીન મંજૂર કર્યા હતા. ભવિષ્યમાં જામીનની મુદત વધારવા માટે પંજાબ સરકારને અરજી કરવાની સૂચના વડી અદાલતે આપી છે.
આ પણ વાંચો : સાઉદીના ટોચના પ્રધાનોની મોદી સાથે મુલાકાત, જોડાણ ગહન કરવાના માર્ગો વિશે ચર્ચા
નવાઝ શરીફની સારવાર કરતા ડૉક્ટરોનો રિપોર્ટ એમના વકીલોએ અદાલતમાં રજૂ કરતાં તાત્કાલિક તબીબી ઉપચારની જરૂર દર્શાવી હતી. નવાઝ શરીફને ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં અલ અઝીઝિયા ભ્રષ્ટાચાર કેસમાં સાત વર્ષની કેદની સજા અદાલતે ફરમાવી હતી. ગયા શનિવારે ઇસ્લામાબાદ વડી અદાલતે એમની વચગાળાના જામીનની અરજી મંજૂર કરી હતી. ગયા અઠવાડિયે ચૌધરી સુગર મિલ્સ કેસમાં લાહોર વડી અદાલતે તબીબી કારણોસર નવાઝ શરીફની જામીન અરજી મંજૂર કરી હતી.