07 June, 2021 03:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાનમાં બે ટ્રેઈન વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયોછે. ઘોટકી જિલ્લામા બે ટ્રેનો વચ્ચે અથડામણ થતાં ઓછામાં ઓછા 30 લોકોનાં મોત થયા છે. તો બીજી બાજુ આ ઘટનામાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર આ ટક્કર મિલ્લત એક્સપ્રેસ અને સર સૈયદ એક્સપ્રેસ વચ્ચે થઈ હતી. મિલ્લટ એક્સપ્રેસ લાહોરથી કરાચી જઈ રહી હતી આ દરમિયાન ઘટના ઘટી હતી. ટ્રેન અકસ્માત બાદ પાકિસ્તાનમાં સિંધની ઘોટકી, ધરકી, ઓબેરો અને મીરપુર મેથેલો હોસ્પિટલોમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. તેમજ ડૉક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફને ફરજ પર બોલાવવામાં આવ્યા છે.
ઘોટકીના ડેપ્યુટી કમિશ્નર ઉસ્માન અબ્દુલ્લાએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે, ટ્રેઈન દુર્ઘટનામાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે,જ્યારે 50થી પણ વધુ લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેમણે ઉમેર્યુ હતું કે, કોચ પલટી જવાને કારણે ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢવામાં મુશ્કેલી થઈ રહી છે તેમજ આ કારણે મૃત્યુઆંક પણ વધવાની સંભાવના છે.
ઉસ્માન અબ્દુલ્લાએ વધુમાં જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં 13થી 14 ટ્રેઈનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. 6થી 8 જેટલા ડબ્બા સંપૂર્ણ નાશ પામ્યા છે. મુસાફરોને બહાર કાઢવા માટે ભારે મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે જિલ્લામાં મેડિકલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે અને તમામ તબીબો અને પેરામેડિકલ સ્ટાફને તાત્કાલિક બોલાવવામાં આવ્યાં છે. મુસાફરોને તબીબી સહાય આપવા માટે એક તબીબી શિબિર પણ ગોઠવવાનું તેમણે કહ્યું હતું.