બગડી શકે છે તમારી નવરાત્રિ, આટલા નોરતામાં પડી શકે છે વરસાદ

23 September, 2019 12:50 PM IST  |  અમદાવાદ

બગડી શકે છે તમારી નવરાત્રિ, આટલા નોરતામાં પડી શકે છે વરસાદ

ફાઈલ ફોટો

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદની આગાહી થઈ રહી છે. કેટલાક વિસ્તારોને વરસાદ ભીંજવી પણ રહ્યો છે. હવે આગામી રવિવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે, ત્યારે ખેલૈયાઓ ઈચ્છી રહ્યા છે કે હવે વરસાદ બંધ થાય તો સારુ. પરંતુ ગરબાના શોખીનો માટે હવામાન વિભાગે ખરાબ સમાચાર આપ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં વરસાદ પડવાની શક્યતા છે.

નવરાત્રિને આડે 6 દિવસ જ બાકી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે. એટલે કે પહેલા ત્રણ નોરતા દરમિયાન વરસાદ ખેલૈયાઓના રંગમાં બંગ પાડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણને નૈઋત્યનું ચોમાસુ ઓક્ટબરના પહેલા સપ્તાહમાં પણ રહી શકે છે. હવામાન વિભાગની આગાહી બાદ ખેલૈયાઓ અને ગરબાના આયોજકો મૂંઝવણમાં મુકાયા છે.

હવામાન વિભાગના કહેવા મુજબ ગુજરાતના દરિયાકાંઠે સર્જાયેલું ડિપ્રેશન આગામી 24 કલાકમાં ચક્રવાતમાં ફેરવાશે અને પછીના 72 કલાકમાં પશ્ચિમ તેમજ ઉત્તર પશ્ચિમમાં ઓમાનના સમુદ્રી વિસ્તાર તરફ આગળ વધશે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે સામાન્ય રીતે ગુજરાતમાંથી સપ્ટેમ્બરનાં ત્રીજા અઠવાડિયા સુધીમાં ચોમાસુ પુરુ થઈ જાય છે. પરંતુ આ વર્ષે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી નૈઋત્યનું ચોમાસું રહી શકે છે. આમ, આ વખતે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોનું સૌથી લાંબું ચોમાસું જોવા મળી શકે છે.

આ પણ વાંચોઃ નવરાત્રિ 2019:ગરબા બાદ નાસ્તા માટે આ જગ્યાઓ છે બેસ્ટ ઓપ્શન

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં નવરાત્રિના પ્રથમ ચાર નોરતાં દરમિયાન હળવાથી મધ્યમ ઝાપટાં પડે તેવી પૂરી સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ સાથે ઉત્તર ગુજરાતમાં વરસાદ આવે તેવી શક્યતોઓ વર્તાઇ રહી છે.

Gujarat Rains navratri ahmedabad