મોરારી બાપૂ પહોંચ્યા દ્વારકા, ત્યાં થયો હુમલો, સાંસદે બચાવ્યા

18 June, 2020 07:56 PM IST  |  Dwarka | Gujarati Mid-Day Online Correspondent

મોરારી બાપૂ પહોંચ્યા દ્વારકા, ત્યાં થયો હુમલો, સાંસદે બચાવ્યા

પબુભા માણેકે મોરારી બાપૂ પર ધસી જઇ હુમલો કરવાનો પ્રયાસ કર્યો

કથાકાર મોરારી બાપૂ  વિવાદમાં સપડાયા હતા કારણકે તેમણે કૃષ્ણ અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. આહીર સમાજ સહિત, યાદવ સમાજનાં લોકો તથા રાજસ્થાનમાં વસતા એક ધર્મગુરુ વગેરે તેમની પર ભારે રોષે ભરાયેલા હતા. આહીર સમાજે માંગ કરી હતી કે તેમણે દ્વારકા આવીને ભગવાન કૃષ્ણની માફી માગવી જોઇએ. મોરારી બાપૂએ પોતે માફી તો માગી જ લીધી હતી પણ તેઓ દ્વારકાધિશને ચરણે માથું નમાવવા પહોંચ્યા હતા અને ત્યાં તો દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા મોરારી બાપૂ પર હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો. બંન્ને વચ્ચે બોલાચાલી થઇ અને મોરારી બાપૂને ઇજા થાય તે પહેલાં જામનગરનાં સાંસદ પુનમ માડમે વચ્ચે પડીને તેમને બચાવી લીધા હતા. આ વીડિયો પણ બહુ વાઇરલ થયો છે જેમાં પુનમ માડમ કહે છે કે મારા સમ છે રહેવા દો. ત્યારે પબુભા તુંકારે બાપૂને કહે છે કે, મોરારી બહાર નીકળ.અન્ય લોકો પબુભાને રહેવા દો બાપૂ કહીને બહાર લઇ જાય છે. ગુજરાત તક નામની ચેનલમાં આ વીડિયો રિલીઝ કરાયો હતો.

આ ઘટના મોરારી બાપૂ પ્રેસ કોન્ફરન્સ કરતા હતા તે દરમિયાન ઘટી હતી જ્યારે પબુભાએ એકદમ ધસી જઇને તેમને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કર્યો. નસીબ જોગે પુનમ માડમ બાજુમાં જ હતા અને તેમણે પબુભાને વચ્ચે પડીને રોકી લીધા.

મોરારી બાપૂએ આ મુદ્દે પહેલા પણ માફી માગી છે

તેમણે પોતે જે પણ બોલ્યા હતા તે અંગે કહ્યું હતું કે મારા નિવેદનથી જેને પણ દુઃખ પહોંચ્યું હોય તેની હું ક્ષમા માંગુ છું. હું તમામ સ્થિતિને પ્રભુ કૃપાનો પ્રસાદ માનું છું અને સંવેદનાનો માણસ છું, સમગ્ર વિશ્વ મારો પરિવાર છે. મારા ભગવાન કૃષ્ણ અંગેનાં નિવેદનને લઈને કેટલાક વિવાદો ઉભા થઈ રહ્યા છે. પરંતુ ભગવાન કૃષ્ણ મારા ઇષ્ટદેવ છે. મારી પરંપરા નિંબાર્કી છે. મારા કુળદેવી રૂક્ષ્મણીજી છે. અમારું ધામ મથુરા-દ્વારકા છે. અમારો ઘાટ વિશ્વાસ છે. અમારી પરિક્રમા ગિરિરાજની છે. અમારી ગાયત્રી ગોપાલ ગાયત્રી છે. અમારો વેદ સામવેદ છે. અમારું ગોત્ર અચ્યૂત છે અને હરિનામ મારો આહાર છે. સાધુના અંતરના ભાવથીમારા કોઈ નિવેદનથી દુનિયાના કોઇ પણ માણસનું દિલ દુખાય એ પહલા તો હું સમાધિ લેવાનું પસંદ કરીશ.

કહેવાય છે કે બાપૂએ લોક બોલીમાં કૃષ્ણની પીડા વિષે કહ્યું એમાં થયો વિવાદ

કૃષ્ણે પોતે જીવનનાં અંતમાં જે પીડા ભોગવી હતી તેની વાત કરતા બાપૂએ જરા કેઝ્યુઅલી, અનૌપચારિક રીતે વાત કરી હતી જેને કારણે લોકો વિફર્યા હતા. તેમણે કૃષ્ણનાં ભાઇને દારૂડિયા, વંશજોને ઝગડાળુ, દારૂડિયા અને ચોર ચિતર્યા હતા અને પછી વિવાદનો વંટોળ ઉઠતા તરત માફી માગી હતી. દ્વારકા પણ તેઓ માફી માગવા જ ગયા હતા જ્યાં આ બબાલ થઇ હતી.

gujarat jamnagar dwarka