09 May, 2022 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એમ.એસ.યુનિવર્સિટી
વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રો મામલે વિવાદ થયો હતો. જે મામલે ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓએ વિરોધ પ્રદર્શન પર ઉતરી આવ્યા હતાં.
વિરોધ પ્રદર્શનને લઈ 31 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તો બીજી તરફ ત્રણ દિવસ પહેલા એમ.એસ.યુનિવર્સિટી ખાતે ચિત્રો અંગે વિવાદ થતાં ફાઇન આર્ટસ ફેકલ્ટી ખાતે પોલીસકર્મીને બે-ત્રણ લાફા ઝીંકી દીધા હતા, તે શખ્સ સામેપણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે ત્રણ દિવસ પહેલાં એન્યુઅલ કાર્યક્રમ દરમિયાન સ્કલ્પચર વિભાગમાં અભ્યાસ કરતા કુંદન યાદવ નામના વિદ્યાર્થીએ તેના આર્ટવર્ક મૂક્યા હતા, જેમાં હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રો અખબારોના પાનાઓમાંથી કટિંગ કરીને બનાવવામાં આવ્યા હતા. આ ચિત્રોમાં અખબારના પાનાઓ હતા.
મુખ્ય વાત એ છે કે આ પાનામાં વડોદરાના દુષ્કર્મ કેસ સહિતના દુષ્કર્મના સમાચારોના પેપર ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાથે અશોક ચક્રનું પણ અપમાન થતું હોવાનું જોવા મળ્યું હતું. જે જોઈને હિન્દુ સંગઠનો સહિતના લોકોની લાગણી દુભાઇ હતી. ત્યાર બાદ ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ ખાતે આર્ટ શો બંધ કરાવી દેવામાં આવ્યો હતો.
આ મુદ્દો આટલે જ અટક્યો હતો, અને ફેકલ્ટીના ડીનને પદેથી હટાવવા અને આર્ટ વર્ક બનાવનાર વિદ્યાર્થીને રસ્ટિકેટ કરવાની માગ સાથે ત્યાં આંતરિક જુથોમાં ઘર્ષણ સર્જાયું હતું.