22 December, 2023 10:49 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
હિંમતનગરમાં આવેલા બીએપીએસ મંદિરના દશાબ્દિ મહોત્સવ નિમિત્તે આયોજિત સમૂહલગ્નમાં લગ્નગ્રંથિથી જોડાયેલાં નવયુગલો.
અમદાવાદઃ સાબરકાંઠાનાં ૧૦૦ આદિવાસી નવયુગલો મહંતસ્વામીના આશીર્વાદ લઈને લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. એટલું જ નહીં, ૧૦૦ આદિવાસી યુવાનોએ મહંતસ્વામીના હાથે મીંઢળ બંધાવીને વ્યસનમુક્ત રહેવા સંકલ્પ લીધો હતો. મહંતસ્વામીએ પણ આ તમામ યુવાનોને વ્યસનમુક્ત જીવન જીવવાના આશીર્વાદ પાઠવ્યા હતા.
ઉત્તર ગુજરાતમાં આવેલા સાબરકાંઠાના હિંમતનગર અને એની આસપાસના વિસ્તારનાં ૧૦૦ યુવાન અને યુવતીઓ લગ્નગ્રંથિથી જોડાયાં એ પહેલાં બીએપીએસના મહંતસ્વામી મહારાજના આશીર્વાદ લીધા હતા. હિંમતનગરમાં આવેલા બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના દશાબ્દિ મહોત્સવ નિમિત્તે આ વિસ્તારનાં ૧૦૦ યુગલોનાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમનાં લગ્ન થવાનાં હતાં તે યુવાન અને યુવતીઓને તેમના પરિવાર સાથે સુરત લઈ જવામાં આવ્યાં હતાં, જ્યાં મહંતસ્વામી મહારાજે તમામ યુવાનોને મીંઢળ બાંધ્યાં હતાં. આ તમામ લોકોએ સાત્ત્વિક
અને વૈદિક પરંપરાથી લગ્ન કરવાનું નક્કી કરતાં મહંતસ્વામી મહારાજે રાજીપો વ્યક્ત કર્યો હતો અને લગ્નનાં ઘરેણાં સહિત અન્ય વસ્તુઓ પ્રસાદીમાં આપી હતી.