04 August, 2021 01:42 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
મારી ઉંમર પ૨ વર્ષ છે, મને બ્લડ-પ્રેશરની છેલ્લાં ચાર વર્ષથી તકલીફ છે. કૉલેસ્ટરોલ ઘટાડવા માટે પણ દવાઓ ચાલુ છે. હમણાંથી મને પહેલાંની જેમ જોઈએ એટલું કડકપણું નથી આવતું. મને મારા ફૅમિલી-ડૉક્ટરે જાતીય સમસ્યાના ઉકેલરૂપે ઍલોપથીની ગોળી લખી આપી છે. આ દવા લઉં તો એનાથી ઉત્તેજનામાં ફરક પડે છે, પણ એ ટૅમ્પરરી હોય છે. જ્યારે સમાગમ કરવો હોય ત્યારે એ દવા લેવાની છે. મારા મિત્રોનું કહેવું છે કે આયુર્વેદિક દવા લેવી જોઈએ. માટે આ બેમાંથી કયો ઑપ્શન સારો રહે? સાઇડ-ઇફેક્ટ વિના યોગ્ય કામ થઈ જાય એવો વિકલ્પ આપશો.
વાલકેશ્વરના રહેવાસી
ઍલોપથી અને આયુર્વેદની વાત કરીએ તો ઇરેક્શન માટે ઍલોપથી આયુર્વેદિક દવાઓ કરતાં ઇન્સ્ટન્ટ અસર કરે એવું બને અને લાંબા ગાળે કોઈ સાઇડ-ઇફેક્ટ પણ નથી હોતી એ પણ સાચું છે. સામાન્ય નિયમ તરીકે એક વાત યાદ રાખવી કે જાતીય આનંદ માટે મેડિસિન લેવી હોય તો શક્ય હોય તો આયુર્વેદના રસ્તે ચાલવું, જેથી ક્યાંય કોઈ જાતની ઇમર્જન્સી આવીને ઊભી રહે નહીં અને અન્ય કોઈ ઇશ્યુ કે તકલીફ પડે નહીં. બીજો એક સામાન્ય નિીયમ કહી દઉં તમને. મેડિસિનનું સજેશન ક્યારેય કૉલમ થકી માગવું નહીં, પણ એને બદલે ફૅમિલી ડૉક્ટરનો જ આધાર રાખવો, એ તમારી તાસિર જાણતાં હોય એટલું સાચું નિદાન અને માર્ગદર્શન આપી શકે.
તમે તમારી ઈ-મેઇલમાં જે આયુર્વેદિક દવાઓ કહી છે એ પ્રમાણમાં થોડી હેવી છે. એનું કારણ એ છે કે આપણું પેટ સામાન્ય રીતે પચવામાં ભારે ચીજો પણ પચાવી નથી શકતું, એવા સમયે તમે મેટલની ભસ્મવાળી દવાઓ પચાવી શકો એ થોડું અવાસ્તવિક લાગે છે. અમુક દવાઓમાં સુવર્ણ ભસ્મ અને લોહ ભસ્મ પણ હોય છે, જે ઇન્દ્રિયના ઉત્થાનમાં ડાયરેક્ટ્લી કારગર નથી. બ્લડપ્રેશર અને કૉલેસ્ટરોલ ઘટાડવા માટે દવાઓ ઉપરાંત સંતુલિત ડાયટ અને પૂરતી કસરતવાળી જીવનશૈલી બનાવશો તો લાંબા ગાળે ફાયદો થશે. માત્ર જાતીય જીવન માટે જ નહીં, જનરલ હેલ્થ માટે પણ એ આવશ્યક છે.