કહો જોઈએ, પ્રયોગશાળા મહત્ત્વની કે પછી મદરેસા?

15 May, 2023 05:21 PM IST  |  Mumbai | Swami Satchidananda

મને લાગે છે કે ખ્રિસ્તી ધર્મ હવે ધાર્મિકતા ઓછી કરીને પ્રયોગશાળાની દિશામાં આગળ વધતો જાય છે તો બીજી બાજુ ઇસ્લામના અનુયાયીઓ પ્રયોગશાળા કરતાં મદરેસાને વધુ મહત્ત્વ આપતા થયા છે. 

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

ખ્રિસ્તી ધર્મ પ્રયોગશાળા તરફ વળ્યો છે અને હા, આ હકીકત છે. આ મારું અંગત માનવું છે, પણ મારી આ માન્યતામાં હકીકત છે. મને લાગે છે કે ખ્રિસ્તી ધર્મ હવે ધાર્મિકતા ઓછી કરીને પ્રયોગશાળાની દિશામાં આગળ વધતો જાય છે તો બીજી બાજુ ઇસ્લામના અનુયાયીઓ પ્રયોગશાળા કરતાં મદરેસાને વધુ મહત્ત્વ આપતા થયા છે. 
 
અત્યંત ધનવાન મુસ્લિમ દેશો ગરીબ મુસલમાનો માટે હૉસ્પિટલો કે શિક્ષણ સંસ્થાઓ બાંધી આપવા કરતાં ધર્મસ્થાનો બાંધી આપવા તરફ વધુ ઝોક દાખવી રહ્યા છે. ધર્મસ્થાનો હોય, ઈશ્વરની પ્રાર્થના-પૂજા થતી હોય, માણસને નેક અને ઈમાનદાર થવાની પ્રેરણા મળતી હોય એથી વધારે રૂડું શું. સાંભળવું આ ગમે, પણ એ સાંભળતી વખતે વાસ્તવિકતા પણ સમજવી જોઈએ કે આવાં ધર્મસ્થાનો ઓસામા બિન લાદેનને પેદા કરતાં હોય તો એને ઊભાં ન કરવાની બાબતમાં ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. બીજું, પ્રત્યેક જિજ્ઞાસુ માણસે વિશ્વના મુખ્ય-મુખ્ય ધર્મોનું અનુકૂળતાથી અધ્યયન કરવું જોઈએ, એ-એ ધર્મની દૃષ્ટિથી એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ જેથી ધાર્મિક તત્ત્વોનાં પરિણામોને સાચી રીતે સમજી શકાય. પ્રશ્ન એ થાય છે કે અત્યારે લગભગ બધા જ આતંકવાદીઓ ઇસ્લામ સાથે કેમ જોડાયેલા છે?
 
જવાબ એ જ છે કે ધર્મની બાબતમાં આ ધર્મ હવે ધર્માંધ થવા માંડ્યો છે અને ધર્માંધ જે હોય તેને મગજ નામનું ભવન હોતું નથી. તે તો ગાડરિયા પ્રવાહની જેમ આગળ વધતો જાય અને સૂચવ્યું હોય એ મુજબ મારો-કાપોની નીતિ રાખીને ધર્મને મોટો કરવાનો મનસૂબો કેળવતો જાય. અલબત્ત, આમાં એ મનસૂબો પાર પડતો નથી હોતો, પણ આવું કરવાથી રાગદ્વેષનો ભાવ વધારે પ્રચંડ બનતો જાય છે.
 
ભલું થજો આ પ્રકારના ઇસ્લામિક આતંકવાદીઓનું કે તેમનો પનારો ભારત જેવા સહિષ્ણુ દેશ સાથે પાડ્યો છે. જો આની જગ્યાએ તેઓ અમેરિકા જેવા દેશ સાથે બથોડાં લેવા જાય તો અમેરિકા ઘરમાં ઘૂસીને મારે અને છેલ્લો ફોટો પણ જાહેર કરે નહીં. ઓસામા બિન લાદેન સાથે એ જ તો થયું. પાકિસ્તાન સુધ્ધાંને ખબર પડી નહીં કે ક્યારે અમેરિકાનું દળ આવી ગયું અને ક્યારે તેમણે સંતાડી રાખ્યો હતો એ રાક્ષસ હણાઈ ગયો. 

કહેવાનો ભાવાર્થ એટલો જ કે જો ધર્માંધતા છોડવામાં નહીં આવે તો દિવસે-દિવસે ઇસ્લામ પર જોખમ ઉમેરાતું જશે. આતંકવાદ અત્યારે હળવો થયો છે એ પાછળનું કારણ પણ વિશ્વ આખું એક થવા પર આવ્યું છે એ છે. આજે પાકિસ્તાનની હાલત જુઓ, કારણ શું છે એની પાછળ એ પણ જરા વિચારો. તમને બધું સમજાશે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.

columnists astrology swami sachchidananda