09 April, 2020 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાશિફળ
હાલમાં ચાલતી વૈશ્વિક મહા બીમારી કોરોના વાઇરસની પરિસ્થિતિમાં લૉકડાઉનના૧૬મા દિવસની પરિસ્થિતિમાં દરેક રહીશો ઘરે બેઠા માનસિક રીતે કંઈક અંશે કંટાળી ગયા છે તથા પરિવારમાં વાદ-વિવાદ કે ઝઘડાના પ્રસંગો ઉપસ્થિત થયેલ છે. આવી કપરી પરિસ્થિતિમાં જ્યોતિષશાસ્ત્ર દ્વારા દરેક ચંદ્ર રાશિના જાતકોએ લૉકડાઉનના સમયે નિત્ય શું-શું કરવું જોઈએ જેનાથી ભાગ્યઉન્નતિ કરી શકાય.
મેષ (અ,લ,ઈ): સવારે બે કલાક સંપૂર્ણ મૌન રહો. પરિવારના સદસ્યો કે અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે ટેલિફોન, મોબાઇલની વાતચીતમાં વાદ-વિવાદ કે ઝઘડા ટાળવા. સવારે કે સાંજે ગણેશજીની ઉપાસના કે ગાયત્રી મંત્ર કરવાથી વિશેષ લાભ જણાશે.
વૃષભ (બ,વ,ઉ): સ્નાનાદીથી પરવારીને ગરમા-ગરમ નાસ્તો કરશો. કોઈ પણની સાથે સંપૂર્ણ સ્વાર્થની વાત ન કરશો. કોઈ પણ માતાજીની ઉપાસના સાથે કુળદેવી આરાધના કરવાથી સવિશેષ લાભ જણાશે.
મિથુન (ક,છ,ઘ): સવારથી ઊઠીએ ત્યારથી જૂની વાતો, ગમગીન બાબતો કદાપી વિચારવી નહીં. વધુપડતો નાસ્તો કે ભોજન ન કરશો. ઘરે બેઠા તસવીરમાં શિવજીનાં દર્શન કે મંત્રનો જાપ કરવો.
કર્ક (ડ,હ): રાત્રે મોડે સુધી જાગવું નહીં. શક્ય હોય તો બજારું નાસ્તો ન કરશો.પોતાની બહેન, માતાને પગે લાગીને દિનારંભ કરવો.
સિંહ (મ,ટ): વારંવાર વાણી દ્વારા ઉગ્રતા ન રાખવી. વામકુક્ષી અવશ્ય કરવી. સૂર્યોદયના સમયે શુદ્ધ જળનો અર્ગ સૂર્યદેવતાને અવશ્ય આપો.
કન્યા (પ,ઠ,ણ) : મહત્વના નીતિ-વિષયક નિર્ણય વારંવાર બદલવા નહીં. ખાવા-પીવામાં ઠંડી કોઈ વસ્તુ હદે નહીં તેમ જ ઠંડાં પીણાં આઇસક્રીમ ન લેવા. નિત્ય શુદ્ધ ઘીનો દીવો સવાર-સાંજ અવશ્ય કરશો.
તુલા (ર,ત): ભૂતકાળમાં થયેલ સટ્ટાકીય બાબતો વિચારોમાં લાવશો નહીં. ફક્ત ગરમ પાણી વારંવાર પીવું. મહાલક્ષ્મીની ઉપાસના કરવાથી વિશેષ લાભદાયી નીવડશે.
વૃશ્ચિક (ન,ય): આવા કપરા સમયમાં બદલો લેવાની ભાવના છોડવી. લોકહિતનાં કાર્યોમાં વધુ સાવધાની સાથે સજાગતા રાખવી. દેવી કવચના પાઠ દરરોજ કરવા.
ધન (ભ,ધ,ફ,ઢ): હૉસ્પિટલ, સ્મશાન કે બીમારી અંગેની કોઈ વાત વારંવાર કરવી નહીં. નજીકના સગાં-સંબંધી-મિત્રો દ્વારા વિશ્વાસઘાતનો ભોગ બનાય. ઈસ્ટગુરુ મંત્ર-ઉપાસના કરવાથી માનસિક રાહત જણાશે.
મકર (ખ,જ): નકામી ચીજવસ્તુઓનો તાત્કાલિક નિકાલ કરવો. સૂર્યોદય સમય પછી સૂવું નહીં. નિત્ય હનુમાન ચાલીસાના પાઠ કરવા.
કુંભ (ગ,સ,શ) : વર્ક ફ્રૉમ હોમ-નોકરીના કામકાજમાં વધારે સારી કામગીરી થાય તે માટે પ્રયત્નો કરવા. ઘરે બેઠા બિનજરૂરી ખર્ચા ટાળવા. શનિ ચાલીસા કે સુંદરકાંડના પાઠ નિત્ય કરવા.
મીન (દ,ચ,ઝ,થ): ઘરે બેઠા વધુ પડતી કરકસર ન કરવી. જૂની બીમારી અંગેની નિયમિત દવાઓ અવશ્ય લેવી.ગુરુમંત્ર ગુરુ-ગીતાનો પાઠ નિત્ય કરવો.