04 January, 2022 05:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘મત્સ્યકાંડ’ને કારણે મારી કરીઅરની દિશા બદલાઈ ગઈ છે : રવિ દુબે
રવિ દુબે કહે છે કે ‘મત્સ્યકાંડ’ને કારણે તેની કરીઅરને નવી દિશા મળી છે. આ વેબ-શોનો તેનો રોલ તેના દિલની ખૂબ નજીક છે. આ શોને ૧૦૦ મિલ્યન વ્યુઝ મળ્યા છે. રવિ દુબે આ શોમાં મત્સ્ય થડાના રોલમાં છે જે લોકોને ફસાવીને ગાયબ થઈ જાય છે. એવામાં અપરાધનો ખાત્મો બોલાવવા માટે એસીપી તેજરાજ સિંહને જવાબદારી આપવામાં આવે છે. આ શોમાં તેજરાજ સિંહની ભૂમિકા રવિ કિશને ભજવી છે. ‘મત્સ્યકાંડ’ને લઈને રવિ દુબેએ કહ્યું કે ‘મારી કરીઅરની દિશા બદલવામાં ‘મત્સ્યકાંડ’એ ખરા અર્થમાં ભૂમિકા ભજવી છે. એણે મને એક ઍક્ટર તરીકે ચૅલેન્જ કરી હતી. એ પાત્રમાં હું ફિઝિકલી, મેન્ટલી અને સ્પિરિચ્યુઅલી ઓતપ્રોત થઈ ગયો હતો. મત્સ્યમાં ખૂબ મેકઓવર, ફિઝિકલ ટ્રાન્સફૉર્મેશન અને ઇમોશનલી પણ ઘણા ફેરફાર કરવા પડ્યા હતા. અગાઉ મેં કદી પણ આવું નહોતું કર્યું. એના માટે મારે સખત મહેનત કરવી પડી હતી. એ પ્રોસેસ દરમ્યાન મારા ડિરેક્ટર અજય ભુયાન, પ્રોડ્યુસર દીપક ધર અને MXની ટીમ કંઈક અનોખું પીરસવા માટે ખડે પગે ઊભી હતી.’
શોને મળતા રિસ્પૉન્સ પર ખુશી વ્યક્ત કરતાં રવિ દુબેએ કહ્યું કે ‘લોકો તરફથી શોને મળતા ઉમળકાભર્યા પ્રતિસાદથી એવું લાગે છે કે અમે કરેલી અથાક મહેનત લેખે લાગી છે. શોને જ્યારે MX પ્લેયર પર ૧૦૦ મિલ્યન વ્યુઝ મળ્યા તો હું નિઃશબ્દ થઈ ગયો હતો. પ્રામાણિકપણે કહું તો વર્ષનો આટલો સારો અંત મારા માટે કંઈ ન હોઈ શકે.’