04 September, 2020 04:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નવીના બોલે (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)
સ્ટાર પ્લસની સિરિયલ 'ઈશ્કબાઝ' દ્વારા ચાહકોના દિલમાં જગ્યા બનાવનાર અને હાલમાં સબ ટીવીની લોકપ્રિય સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ડૉક્ટર સારાની ભૂમિકા ભજવતી અભિનેત્રી નવીના બોલે (Navina Bole)ના પિતાનું તાજેતરમાં અવસાન થયું છે. પિતાના અવસાન બાદ અભિનેત્રી ભાવુક થઈ છે અને તેણે સોશ્યલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શૅર કરી છે.
નવીના બોલેએ સોશ્યલ મીડિયા પર પિતાની તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'મારા મનમાં અત્યારે જે લાગણીઓ ચાલી રહી છે તેને શબ્દોમાં વ્યક્ત કરી શકું તેમ નથી. બસ પ્રાર્થના કરું છું કે તમે જ્યાં પણ છો ત્યાં ખુશ રહો અને અહીંથી વધુ ત્યાં શાંતિ હોય. જ્યાં કોઈ ડર, કોઈ દર્દ તમને સ્પર્શી શકે નહીં. મને ખ્યાલ છે કે તમે ઉપરથી અમને જોઈને હસતા હશો. મને દુઃખ એ વાતનું છે કે, હું તમારી સાથે વધુ સમય પસાર કરી શકી નહીં. તમારા પ્રેમને અટેન્શન આપી શકી નહીં. તમને આની હંમેશાં જરૂર હતી પરંતુ તમને ખ્યાલ છે કે તમે ક્યાંય પણ હોવ હું હંમેશાં તમને યાદ કરીશ. કિમ્મી પણ પોતાના નાનુને ક્યારેય ભુલશે નહીં. હું તમને બહુ જ પ્રેમ કરું છું પાપા. અનંતકાળ સુધી અને તેનાથી પણ આગળ.'
તમને જણાવી દઈએ કે, નવીના બોલેએ હાલમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં મનોચિકિત્સકની ભૂમિકા ભજવી હતી. નવીનાએ ડૉ.સારાનો રોલ પ્લે કરીને જેઠાલાલ (દિલીપ જોષી)ની સારવાર કરી હતી. સિરિયલના ટ્રેક પ્રમાણે, જેઠાલાલને રાતમાં વિચિત્ર સપનાઓ આવે છે અને તેને કારણે તે હેરાન-પરેશાન છે. ડૉ.સારા બબીતા (મુન મુન દત્તા)ની ફ્રેન્ડ હોય છે અને બબીતાએ જ જેઠાલાલને ડૉ.સારા પાસે સારવાર કરાવવાનું કહ્યું હતું. આ ઉપરાંત નવીનાએ 'ઈશ્કબાઝ', 'CID', 'મિલે જબ હમ તુમ', 'લવ યુ જિંદગી', 'રામ મિલાઈ જોડી', 'યહાં મૈં ઘર ઘર ખેલી, 'ક્યા હુઆ તેરા વાદા', 'પિયા કા ઘર પ્યારા લગે', 'કુમકુમ ભાગ્ય', 'સાવધાન ઈન્ડિયા', 'બડી દૂર સે આયે હૈં' જેવી સિરિયલોમાં અભિનય કર્યો છે.
નવીના બોલેએ 2017માં 22 જાન્યુઆરીએ એક્ટર-પ્રોડ્યૂસર કરણજીત સાથે સગાઈ કરી હતી. પછી માર્ચ 2017માં તેમણે લગ્ન કર્યા હતા. ગયા વર્ષે મે મહિનામાં નવીનાએ દીકરીને જન્મ આપ્યો હતો.