09 January, 2022 05:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: સુનીલ લાહરી ફેન-ક્લબ/ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ
સમગ્ર દેશમાં કોરોના ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. શનિવારે 1 લાખ 59 હજારથી વધુ સંક્રમિત નોંધાયા છે. ઝડપથી વધી રહેલી આ મહામારી બોલિવૂડ, ટોલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને પણ પોતાની ચપેટમાં લઈ રહી છે. ઘણા જાણીતા કલાકારો કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે સિરિયલ `રામાયણ`ના લક્ષ્મણ એટલે કે સુનીલ લાહિરી વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે ચાહકોને માહિતી આપી છે કે તે પણ તેમના જન્મદિવસના દિવસે જ કોરોનાથી સંક્રમિત થયા છે.
પોતાના જન્મદિવસના દિવસે સુનીલ લાહિરીએ ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટમાં લખ્યું કે “માફ કરશો મિત્રો, મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ભગવાનના આશીર્વાદથી, તમારી પ્રાર્થના અને ડૉક્ટરની દવાઓની મદદથી, હું જલ્દી સાજા થવાની આશા રાખું છું. હું તમામ જરૂરી સાવચેતીઓ લઈ રહ્યો છું. હું બધી દવાઓ પણ લઉં છું. મારા જન્મદિવસ પર તમારા પ્રેમ અને શુભેચ્છાઓ બદલ આભાર... તમે બધા સુરક્ષિત રહો એન તમારી સંભાળ રાખો.”
પોસ્ટ શેર કરતા રામાયણના લક્ષ્મણે કેપ્શનમાં લખ્યું, `માફ કરશો, આજે માટે એક સરપ્રાઈઝ લાઈવનું આયોજન કર્યું હતું, પરંતુ કોવિડ-19ને કારણે તે થઈ શક્યું નહીં, પરંતુ ચિંતા કરશો નહીં. જલદી રિકવર થયા બાદ હું લાઈવ આવી, તમે બધા ધ્યાન રાખજો.”
ઉલ્લેખનીય છે કે સુનીલ લાહિરીએ તેમના જન્મદિવસ પર ચાહકો માટે ખાસ લાઈવ સેશનનું આયોજન કર્યું હતું, પરંતુ કોરોના પોઝિટિવ હોવાના કારણે તેણે કેન્સલ કરવું પડ્યું હતું. તમને જણાવી દઈએ કે સુનીલ લાહિરી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના અંગત જીવન સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો શેર કરે છે. આ કારણે તેમની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે. તાજેતરમાં, તેણે સીરિયલ `રામાયણ`ના નિર્માતા રામાનંદ સાગરને યાદ કરતી એક પોસ્ટ શેર કરી, જે ખૂબ વાયરલ થઈ હતી.