11 December, 2023 01:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફલક નાઝ
ફલક નાઝે નેપોટિઝમ વિશે જણાવ્યું કે એની નિંદા કરવી સરળ છે, પરંતુ સફળતા તો ટૅલન્ટના આધારે મળે છે. ફલક નાઝે ‘સસુરાલ સિમર કા’, ‘લાલ ઇશ્ક’ અને ‘ડોલી અરમાનોં કી’ જેવી સિરિયલમાં કામ કર્યું છે. નેપોટિઝમ વિશે ફલક નાઝે કહ્યું કે ‘પ્રામાણિકપણે કહું તો હું જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે મારી પાસે કોઈ ડાયરેક્ટ કનેક્શન નહોતાં. અહીં આવ્યા પછી મેં ગૂગલ પર વિવિધ પ્રોડક્શન-હાઉસને સર્ચ કર્યાં અને ટેલિફોન ડિરેક્ટરીમાં નંબર શોધ્યા. હું સીધી પ્રોડક્શન-હાઉસમાં જઈને મારી જાતને ઇન્ટ્રોડ્યુસ કરતી હતી. ત્યાર બાદ ધીમે-ધીમે મારાં કનેક્શન
વધતાં ગયાં.
મારું માનવું છે કે જો તમારામાં ટૅલન્ટ હોય તો નેટવર્કિંગ અને રેફરન્સ મહત્ત્વ નથી ધરાવતાં. તમારું કામ જ બોલે છે. નેપોટિઝમ સામાન્ય બાબત છે. જોકે મારું માનવું છે કે ફિલ્મ અને ટીવીના દર્શકો સમજદાર છે. તેઓ ટૅલન્ટની કદર કરે છે. ઉદાહરણ તરીકે રણબીર કપૂર ફિલ્મની ફૅમિલીમાંથી આવવા છતાં વિશ્વભરમાં તેના પર્ફોર્મન્સને કારણે ઓળખાય છે. સફળતાનું શ્રેય માત્ર નેપોટિઝમને આપવું અયોગ્ય કહેવાય. અનેક ક્ષેત્રમાં પારિવારિક સંબંધો પણ અગત્યના છે. મનોરંજન જગતમાં નેપોટિઝમની નિંદા કરવી સહેલી છે, પરંતુ ખરી સફળતા તો વ્યક્તિની ટૅલન્ટ પર આધાર રાખે છે.’