ગુજરાતી વરિષ્ઠ કલાકાર મીનળ પટેલના પુરસ્કારની રકમ ક્યાં? 

07 December, 2023 10:34 PM IST  |  Mumbai | Nirali Kalani

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના વરિષ્ઠ અભિનેત્રી મીનળ પટેલ સાથે એવું બન્યું કે વર્ષ 2019માં ટ્રાન્સમી઼ડિયા એવોર્ડ્સમાં તેમને `લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ`ની જાહેરાત કરવામાં આવી પરંતુ તે પુરસ્કરાની રકમ તેમના સુધી ન પહોંચી.

ટ્રાન્સમીડિયો એવોર્ડ્સમાં મીનળ પટેલને પુરસ્કાર અપાયો તેની તસવીર

કલાકારોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને જે-તે ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ  સન્માનરૂપે ઘણી વાર પુરસ્કાર એનાયત કરવામાં આવતાં હોય છે. આ પુરસ્કારમાં કેટલીક વખત કલાકારને રોકડ રકમ પણ આપવામાં આવે છે. સ્ટેજ પરથી મોટા ચેક આપવામાં તો આવે પરંતુ ઘણી વાર આવા પુરસ્કાર માત્ર નામ પુરતાં જ રહી જતા હોય છે. આવું જ કંઈક બન્યું છે ગુજરાતી નાટક અને ફિલ્મ જગતના કેટલાક કલાકાર સાથે. જેમાંના એક વરિષ્ઠ કલાકાર છે મીનળ પટેલ.

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના વરિષ્ઠ અભિનેત્રી મીનળ પટેલ સાથે આવું જ બન્યું છે. વર્ષ 2019માં ટ્રાન્સમી઼ડિયા એવોર્ડ્સમાં તેમને `લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ`ની જાહેરાત કરવામાં આવી હતી. આ પુરસ્કાર મીનળ બહેનને વર્ષ 2020માં આપવામાં આવ્યો હતો. સ્ટેજ પર દિગ્ગજ અભિનેત્રીને `લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ` રૂપે 51,000નો ચેક સોંપવામાં આવ્યો હતો. પરંતુ ત્રણ વર્ષ વીત્યા બાદ પણ હજી સુધી તેમને આ રકમ મળી નથી. ન માત્ર મીનળ બહેન અન્ય એક કલાકાર સાથે પણ આવું થયું છે. નામ ન આપવાની શરતે તે કલાકારે જણાવ્યું કે ટ્રાન્સમીડિયા એવોર્ડ્સમાં પુરસ્કારમાં તેમને 50,000નો ચેક પ્રાપ્ત થયો હતો. પરંતુ આ રકમ હજી તેમના સુધી પહોંચી નથી. 

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને આ છબરડા અંગે જાણકારી મળી. કલાકારો સાથે બનેલી આ ઘટનાની જાણ થતાં જ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે તપાસ કરી અને ઘટના સંબંધિત લોકો સાથે વાત કરી. માહિતીની ખાતરી કરવા માટે કલાકાર મીનળ પટેલ અને અન્ય એક કલાકાર સાથે વાતચીત કરતાં સામે આવ્યું કે આ માહિતી એકદમ સાચી છે. પુરસ્કારની જાહેરાત બાદ વર્ષો વીતી જતાં હજી પણ રકમ તેમના સુધી પહોંચી નથી. કલાકારો સાથે વાત કર્યા બાદ ટ્રાન્સમીડિયા એવોર્ડ સાથે જોડાયેલ જસ્મીન શાહ સાથે આ મુદ્દે વાત કરવા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અનેક પ્રયાસો બાદ માંડ માંડ જસ્મીન શાહ સાથે વાત થઈ. જેમાં તેમણે આ માહિતી ખોટી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે `આવું કોઈ કલાકાર સાથે થયું નથી. આ માહિતી ખોટી છે.`

આખરે સાચું શું છે તેની ખરાઈ કરવા માટે ફરી મીનળ બહેનનો સંપર્ક કરવામાં આવ્યો. અભિનેત્રીએ કહ્યું કે "મને ટ્રાન્સમીડિયા એવોર્ડ્સમાં લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવી હતી અને 51 હજાર રકમનો ચેક આપવામાં આવ્યો હતો. પરંતુ મને રકમ હજી સુધી મળી નથી. આ અંગે મેં જસ્મીનભાઈનો સંપર્ક કર્યો તો તેમણે કહ્યું કે સ્પોન્સરે જ અમને નથી આપ્યાં તો અમે તેમને કેવી રીતે આપીએ." જોકે પછી મીનળ પટેલે આ પ્રયાસો પણ છોડી દીધા હતાં. 

આ મામલે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સ્પોન્સરનો સંપર્ક કરે તે પહેલાં જ મીનળ બહેને સ્પોન્સર રશ્મિ કામદારનો સંપર્ક કર્યો તો તેમને જાણવા મળ્યુ કે તેમના પુરસ્કારની રકમ ફિરોજ ઈરાનીને આપવામાં આવી હતી. ફિરોજ ઈરાનીને પણ આ પુરસ્કાર એનાયત થયો હતો. રશ્મી કામદારે મીનળ પટેલને કહ્યું કે તે આ અંગે તપાસ કરશે કે તેમના પૈસા ક્યાં અટવાયા છે. સ્પોન્સર સાથે થયેલી સમગ્ર વાતચીત મીનળ બહેને ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શેર કરી હતી. આ મામલે હજી આગળ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સંબંધિત લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહીશું. જેથી આ કોંકડું ઉકેલાય અને કલાકારો સુધી તેમના પુરસ્કારની રકમ પહોંચી જાય. 

એક બાજુ આપણે કલાકારના સન્માનની બહુ મોટી મોટી વાતો કરીએ છીએ, તો બીજી બાજુ જાહેરમાં સિદ્ધ કરેલા પુરસ્કારો પણ ઘણાં કલાકારો સુધી પહોંચતાં નથી. 

 

 

 

 

   

gujarati film dhollywood news Gujarati Natak Gujarati Drama nirali kalani