29 June, 2026 12:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ શેટ્ટી
‘ધુરંધર’ ફ્રૅન્ચાઇઝીની સફળતા પછી રણવીર સિંહ પોતાની કરીઅરના શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. સતત બે મોટી બ્લૉકબસ્ટર ફિલ્મોની સફળતાએ તેને બૉલીવુડના ટોચના સ્ટાર્સમાં સ્થાન અપાવ્યું છે. જોકે આ સફળતા વચ્ચે તે ‘ડૉન ૩’ના વિવાદને લઈને પણ ચર્ચામાં રહ્યો હતો અને આના કારણે એક તબક્કે તેના પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો. હવે આ મામલામાં સુનીલ શેટ્ટીએ રણવીરનો ખુલ્લેઆમ બચાવ કરતાં તેની પ્રશંસા કરી છે.
‘ડૉન 3’ વિવાદમાં પોતાનું મંતવ્ય વ્યક્ત કરતાં સુનીલે કહ્યું હતું કે ‘કોઈ પણ વ્યક્તિ કોઈ અભિનેતા અથવા કલા પર પ્રતિબંધ મૂકી શકે નહીં. કોઈને પણ આવું કરવાનો અધિકાર નથી. આ મામલો સુપ્રીમ કોર્ટમાં જશે તો એક ક્ષણમાં ફગાવી દેવામાં આવશે. હું ફરહાન અને રણવીરને સારી રીતે ઓળખું છું. મારા મત મુજબ જો બન્ને ફરી સાથે કામ કરશે તો તેઓ કમાલ કરી શકે છે. પ્રતિબંધ મૂકવાનો હક કોઈ પાસે નથી. એ સમજવાનો પ્રયાસ કરો કે આ રણવીરે ઇન્ડસ્ટ્રીને અંદાજે ૩૫૦૦ કરોડ રૂપિયાની રેવન્યુ આપી છે તો પછી તમે તેના પર પ્રતિબંધ શા માટે મૂકવા ઇચ્છો છો? લોકો જે કલાકારને જોવાનું પસંદ કરે છે તેના પર પ્રતિબંધ મૂકીને આખરે તમે શું મેળવવા માગો છો?’