29 March, 2026 03:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરણ જોહર
હાલમાં ફિલ્મમેકર કરણ જોહર જેસલમેરમાં પોતાના રિયલિટી શો ‘ધ ટ્રેટર્સ 2’નું શૂટિંગ કરી રહ્યો છે, પણ આ શૂટિંગ વચ્ચે થોડો સમય કાઢીને તેણે બહુચર્ચિત ‘ધુરંધર : ધ રિવેન્જ’ જોવાની મજા માણી અને આ માટે તેણે એક આખું થિયેટર જ બુક કરાવ્યું હોવાના રિપોર્ટ છે. મળતી માહિતી પ્રમાણે શનિવારે સાંજે કરણ જોહર પોતાની ટીમ સાથે શહેરના પ્રસિદ્ધ થિયેટર રમેશ ટૉકીઝ પહોંચ્યો હતો અને અહીં તેણે પ્રાઇવેટ સ્ક્રીનિંગમાં ‘ધુરંધર : ધ રિવેન્જ’ની મજા માણી. ખાસ વાત એ હતી કે તેણે આખું થિયેટર પોતાની ટીમ માટે બુક કરી દીધું હતું જેથી કોઈ વિક્ષેપ વિના ફિલ્મનો આનંદ લઈ શકાય. આ સિવાય સુરક્ષા અને પ્રાઇવસીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું અને સામાન્ય દર્શકો માટે પ્રવેશ બંધ રાખવામાં આવ્યો હતો. આ પ્રાઇવેટ સ્ક્રીનિંગ દરમ્યાન કરણ અને તેમની ટીમે સાથે બેસીને ફિલ્મ જોઈ, ઇન્ટરવલ દરમ્યાન નાસ્તાનો આનંદ લીધો અને હળવી વાતચીત પણ કરી. સમગ્ર આયોજન ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યું હતું. ફિલ્મ જોયા બાદ કરણ જોહરે સોશ્યલ મીડિયા પર પોતાનો રિવ્યુ પણ શૅર કર્યો જેમાં તેણે ફિલ્મની ખૂબ પ્રશંસા કરી. તેણે જણાવ્યું કે આ ફિલ્મ માત્ર ઍક્શન અથવા દેશભક્તિ પૂરતી સીમિત નથી; એની વાર્તા, પાત્રોનું ઊંડાણ અને ભાવનાત્મક પાસું તેને ખાસ બનાવે છે. ડિરેક્ટર આદિત્ય ધરના કામની પ્રશંસા કરતાં તેણે ફિલ્મને ઉત્તમ સિનેમૅટિક અનુભવ ગણાવ્યો તેમ જ રણવીર સિંહના પર્ફોર્મન્સને તેની કરીઅરના શ્રેષ્ઠ પ્રદર્શનમાંનો એક ગણાવ્યો.