22 May, 2020 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કમાલ આર. ખાને તાજેતરમાં જ રિશી કપૂર અને ઇરફાન સંદર્ભે વાંધાજનક કમેન્ટ કરી હોવાથી તેના વિરુદ્ધ બાંદરા પોલીસ-સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો છે. રિશી કપૂરના નિધનના સમાચાર સાંભળતાં જ જ્યાં એક તરફ લોકો શોક સંદેશ પાઠવી રહ્યા હતા ત્યાં બીજી તરફ કમાલ આર. ખાને ટ્વીટ કર્યું હતું કે ‘ઍક્ટર ન મરી શકે, કારણ કે હવે વાઇન શૉપ જલદી જ શરૂ થવાની છે.’
ઇરફાનના અવસાનના એક દિવસ પહેલાં કમાલ ખાને તેના વિશે પણ કટાક્ષ કર્યો હતો. આ મામલાની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. આ તમામ ટિપ્પણીઓની નોંધ યુવા સેનાની કોર કમિટીના સદસ્ય રાહુલ કનલે લીધી અને તેની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. એ વિશે વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ‘કમાલ આર.ખાન વિરુદ્ધ એફઆઇઆર નોંધીને ધારા 294 લાગવામાં આવી છે જેણે બન્ને ઍક્ટર્સ વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી.’