અનેક હિટ ફિલ્મો આપ્યા છતાં જીવનમાં એકલતા અને ડિપ્રેશનથી જજૂમ્યા હતાં આશા પારેખ

02 October, 2021 05:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શમ્મી કપૂર, જૉય મુખર્જી, શશિ કપૂર અને રાજેશ ખન્નાની સાથે તેમની જોડી ખૂબ જ લોકપ્રિય થઈ હતી અને તે દરેક હીરો માટે લકી કહેવાતાં હતાં.

આશા પારેખ

દિગ્ગજ અભિનેત્રી આશા પારેખ (Asha Parekh) 60ના દાયકાની સૌથી વધારે ફી લેનારી અભિનેત્રી હતી. તેમણે `તીસરી મંજિલ`, `આન મિલો સજના`, `બહારોં કે સપને` અને `મેરે સનમ` સહિત અનેક હિટ આપી હતી. આશા પારેખે તે સમયના બધા જ અભિનેતાઓ સાથે કામ કર્યું. શમ્મી કપૂર (Shammi Kapoor), જૉય મુખર્જી (Joy Mukerjee), શશિ કપૂર (Shashi Kapoor) અને રાજેશ ખન્નાની (Rajesh Khanna) સાથે તેમની જોડી ખૂબ જ લોકપ્રિય થઈ હતી અને તે દરેક હીરો માટે લકી કહેવાતાં હતાં.

બહેતરીન અભિનેત્રીની સાથે સાથે આશા પારેખ (Asha Parekh) એક સુંદર ડાન્સર (Dancer) પણ છે. આ સિવાય તે ડિરેક્ટર (Director)  અને પ્રૉડ્યૂસર (Producer) પણ રહી ચૂકી છે. સિનેમા જગતમાં એટલું કામ કરી ચૂકેલી આશા પારેખ ડિપ્રેશનની (Depression) પણ ચપેટમાં આવી ચૂકી છે. તે સમયે તેમને આપઘાતના પણ વિચાર આવતા હતા. આનો ઉલ્લેખ તેમણે પોતાની ઑટોબાયોગ્રાફી `આશા પારેખ : ધ હિટ ગર્લ`માં કર્યો છે. 2 ઑક્ટોબર આશા પારેખ પોતાનું 79મો જન્મદિવસ (79th Birthday of Asha Parekh) ઉજવી રહી છે. આ અવસરે જાણો કેટલીક ખાસ વાતો

તે પોતાના વિશે જણાવે છે કે, "લોકો વિચારે છે કે હું ફક્ત ગ્લેમર માટે છું પણ મારું જીવન ફક્ત ફિલ્મસ્ટાર સુધીનું નથી... હું એક ઇમોશનલ પર્સન છું. હું મારા મનની સાંભળું છું મગજની નહીં. હું એક કડક વ્યક્તિ તરીકે સામે આવું છું પણ હું એટલી કડક નથી. જ્યારે કોઈ મને ઇજા આપે છે અથવા જ્યારે મારાથી કોઈને ઇજા થાય છે તો હું મને ખૂબ ચિંતા થાય છે."

આશા પારેખને ફિલ્મમેકર નાસિર હુસેન સાથે પ્રેમ થવા માંડ્યો હતો જે પહેલાથી જ પરિણિત હતા. બન્નેએ સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું. જો કે, તેમના અને નાસિરના લગ્ન થઈ શક્યા નહોતા. ત્યાર બાદ તેમણે ક્યારેય લગ્ન વિશે વિચાર્યું નહીં.

આશા પારેખ પોતાના માતા-પિતાની ખૂબ જ નજીક હતી. 1990માં તેમની માનું નિધન થઈ ગયું જે તેમના અને તેમના પિતા માટે ખૂબ જ આઘાતજનક હતું. 2003માં પિતા બચૂભાઈ પારેખનું પણ નિધન થઈ ગયું. ત્યાર બાદ તે સાવ એકલાં પડી ગયાં હતાં.

પીટીઆઇ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આ સમય તેમની માટે ખૂબ જ ખરાબ હતો. તે સંપૂર્ણપણે એકલા પડી ગયા હતા અને તેમને જ બધું મેનેજ કરવાનું હતું. જેને કારણે તેઓ ડિપ્રેશનનો ભોગ બન્યાં. તેમણે જણાવ્યું કે, "હું ખૂબ જ દુઃખી હતી અને મારા મનમાં એવા (આત્મહત્યા)ના વિચારો આવતા હતા. પછી હું આમાંથી બહાર નીકળી. આ એક સંઘર્ષ હતો. મને સ્વસ્થ થવા માટે ડૉક્ટર્સની મદદ પણ લેવી પડી  હતી."

એક સમય એવો હતો જ્યારે તે એ બાળકને એડૉપ્ટ કરવા માગતાં હતાં. તેઓ બાળકને મળ્યાં પણ હતાં પણ તે જન્મથી જ કેટલીક સમસ્યાઓ સામે જજૂમી રહ્યો હતો જેને કારણે ડૉક્ટર્સે તેને એડૉપ્ટ કરવાની ના પાડી દીધી.

આજની તારીખમાં આશા પારેખે ખુશ રહેવાની રીત શોધી લીધી. તેઓ કહે છે કે, "કાં તો હું ચિંતા કરું અને દુઃખી થાઉં અથવા પોતાને એટલી બધી વ્યસ્ત રાખું અને ડિપ્રેશન સામે લડું. નિર્ણય મારો છે. હું ફરી ત્યાં નથી જવા માગતી."

bollywood news bollywood bollywood gossips asha parekh happy birthday